ડિમોલિશનમાં ભંગારનો ડેલો તોડી પાડતાં મહિલાનો આપઘાતનો પ્રયાસ
- હવે અમે વ્યવસાય ક્યાં કરીશું? મહિલાને લાગી આવતા ફીનાઇલ પી લીધું
શહેરના સાધુવાસવાણી રોડ પર ગઇકાલે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદે ખડકેલી દબાણનું ડીમોલેશન કરી કરોડોની જમીન ખુલી કરવામાં આવી હતી.
આ ડીમોલીશન દરમિયાન એક ભંગારનો ડેલો તોડી પાડવામાં આવતા વૃદ્ધાને લાગી આવતા ફીનાઇલ પી લીધું હતું. તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે. તેઓને આઘાત લાગતા આ પગલુ ભરી લીધુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે મહિલાનું નિવેદન નોંધ્યું હતું.
વધુ વિગતો અનુસાર, સાધુવાસવાણી રોડ પર એકલવ્યનગરમાં રહેતા દમયંતીબેન કાનજીભાઇ ગોહેલ (ઉ.વ.60) નામના વૃદ્ધાએ ગઇકાલ બપોરના સમયે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. દમંયતીબેને જણાવ્યું હતુ કે, પતિ ભંગારનો ડેલો ચલાવતા હતા અને ધંધો કરતા હતા આજે ડિમોલીશન કરવામાં આવતા ધંધાનું સ્થળ વેરવિખરે થઇ ગયું હતું. અને હવે, ધંધો ક્યાં કરીશુ ? તેવા વિચારોથી આઘાત લાગતા તેઓએ આ પગલુ ભરી લીધુ હતું. તેમને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે દમયંતીબેનનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.