For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના બે ઉમેદવારોની પીછેહઠ, બીજી ત્રણ બેઠકોમાં પણ હોળી

03:38 PM Mar 23, 2024 IST | Bhumika
ભાજપના બે ઉમેદવારોની પીછેહઠ  બીજી ત્રણ બેઠકોમાં પણ હોળી
  • દિલ્હીના દોરી સંચારથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ચૂંટણી લડવાની અનિચ્છા
  • વડોદરામાં આંતરિક અસંતોષ અને સાબરકાંઠામાં અટકના વિવાદ સામે ભાજપ હાઈકમાન્ડની મજબૂરી

Advertisement

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની આગામી તા.7 મેનાં રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને બે ચાર બેઠકોના ઉમેદવારો હજુ નક્કી કરવાના બાકી છે ત્યાં પાર્ટીમાં અસંતોષની આગના લબકારા વચ્ચે વડોદરાના રિપીટર ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના બે સરનેમ વિવાદમાં ઘેરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે સામેથી ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યકત કરતાં ગુજરાત ભાજપમાં ભારે ખળભળાટ માચી ગયો છે.

આ બે ઉમેદવારોએ વિવાદોના કારણે ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરવાની ઈચ્છા વ્યકત કરી છે ત્યાં વલસાડ, આણંદ અને અમદાવાદમાં પણ ઉમેદવારો બદલાવવાની માંગણી બળવતર બનતા ભાજપનું હાઈકમાન્ડ ચિંતિત બન્યું છે અને ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધેલ છે.દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની સાંજે બેઠક મળનાર છે તે પૂર્વે જ ભાજપના વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ દિલ્હીના દોરી સંચાર હેઠળ ચુંટણી લડવામાંથી પીછેહઠ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બન્ને ઉમેદવારો બદલાય તેવી પુરી શકયતા દર્શાવાઈ રહી છે.

Advertisement

અમદાવાદના એક ઉમેદવારની સીડીનો મામલો સળગ્યો ચે અને સીડી લઈને વિરોધીઓ દિલ્હી પહોંચ્યા છે જ્યારે વલસાડના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માંગ સાથે પત્રિકા વાઈરલ થઈ છે. તો આણંદના ઉમેદવાર મિતેષ પટેલ સામે અસંતોષ વધી જતાં તેમને તાબડતોબ દિલ્હી તેડાવાયા હતાં.વડોદરાના ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમના સિવાય સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભીખાજી દુધાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તે પહેલા રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું છે કે તેઓ અંગત કારણોસર 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે.

રંજનબેનને વડોદરામાંથી ત્રીજી વખત ટિકિટ મળતાં સ્થાનિક સ્તરે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ ખુલ્લો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા. આ પછી, શહેરમાં ટિકિટ બદલવાની માંગ કરતા અનામી પોસ્ટરો દેખાયા હતા. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ છોડ્યા બાદ રંજનબેન અહીંથી ચૂંટણી જીત્યા હતા. આ પછી 2019માં પણ પાર્ટીએ તેમને વડોદરાથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીતીને લોકસભામાં પહોંચ્યા હતાં. 2024માં ફરી તેમને ટિકીટ આપવામાં આવી હતી.

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચુંટણી નહીં લડવાની ઈચ્છા વ્યકત કરી છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વોર શરૂૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂૂદ્ધ આ પત્રિકા વોર પુરજોશમાં શરૂૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement