ઉત્તર પ્રદેશમાંથી યોગીને હટાવાશે?, 42 ટકા નાગરિકોનું હકારાત્મક વલણ
બેકારી અને મોંઘવારીના કારણે ભાજપ હાર્યાનું સરવેમાં તારણ
લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીના આંકડાથી ખૂબ નીચે રહી, જેના કારણે ગઠબંધન સરકાર બનાવવી પડી. ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે. જ્યાં સમાજવાદી પાર્ટી નંબર વન પાર્ટી બની છે. યુપીમાં તમામ 80 બેઠકો જીતવાનો દાવો કરી રહેલી ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. આ બધાની વચ્ચે ફરી એકવાર ચર્ચાઓ શરૂૂ થઈ છે કે શું યુપીમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે?
સામાન્ય ચૂંટણી દરમિયાન પણ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવા દાવા કર્યા હતા. હાલમાં જ યુપીમાં સીએમ યોગીને હટાવવાની અટકળો વચ્ચે ઘણી મહત્વની બેઠકો થઈ હતી, હવે એક તાજા સર્વેમાં આ સવાલનો જવાબ જનતા પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજતક અને સી-વોટરના સર્વેમાં લોકોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આવો જ એક સવાલ હતો કે શું ભાજપ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથને હટાવવાની તૈયારી કરી રહી છે, આ સવાલ પર સૌથી વધુ 42 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, જે ચોંકાવનારો હતો. આ સિવાય 28.6 ટકા લોકોએ કહ્યું કે અત્યારે ચર્ચા ચાલી રહી છે,
જ્યારે 20 ટકા લોકોએ ના જવાબ આપ્યો. એટલે કે, મોટાભાગના લોકોએ કહ્યું કે હા, યુપીમાં સીએમ યોગી આદિત્યનાથને હટાવવાની તૈયારી ચાલી રહી છે.
આ સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે યુપીમાં બીજેપીને સૌથી વધુ નુકસાન કયા કારણે થયું? આના પર મોટાભાગના લોકોએ (49.3 ટકા) બેરોજગારી અને મોંઘવારીને જવાબદાર ગણાવી હતી જ્યારે 22 ટકા લોકોએ બંધારણ બદલવાનો આરોપ કારણભૂત ગણાવ્યો હતો. 10 ટકા લોકોએ રાજ્યમાં નેતૃત્વ અને સંગઠનના અભાવને જવાબદાર ગણાવ્યું હતું. આ સિવાય 4.9 ટકા લોકોએ સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો.