કોરોનાકાળમાં માતા-પિતા અને ભાઈ ગુમાવનાર વ્હોરા યુવકનો ઝેર પી આપઘાત
કોરોના મહામારીએ અનેક હસતા રમતા પરિવારોને ઉજાળી દીધા છે. જેની હજુ કળવળી નથી ત્યાં આજે રાજકોટમાં વધુ એક યુવાને કોરોનાકાળમાં પરિવારજનોને ગુમાવ્યા બાદ એકલવાયા જીવનથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ બેડીપરા મુફુતદલ રેસીડેન્સીમાં રહેતા વજેફા સબીરભાઈ વૈધ ઉ.વ.35 નામના વોરા યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરીદવા ગટગટાવી લેતા સારવાર અર્થે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતાં. જેનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં વોરા યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં જણાવ્યા પ્રમાણે કોરોના કાળમાં વજેફાએ પિતા અને ભાઈને ગુમાવ્યા હતાં અને ત્યાર બાદ બિમારી સબબ માતાનું પણ અવસાન થયું હતું તેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી એકલવાયું જીવન વિતાવતો હતો.
વોરા યુવકની એક બહેનના લગ્ન થઈ ગયા હોય અને તે સાસરે હોય યુવકે એકલવાયા જીવનથી કંટાળી જઈને આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.પોલીસની તપાસમાં વોરા યુવકે અગાઉ ચારથી પાંચ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાકીદે સારવાર મળી જવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. પરંતુ ગઈકાલે કાતિલ ઝેરી દવા લઈ આવ્યા બાદ ગટગટાવી લીધી હતી. જેના કારણે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.