રાજકોટ શહેરમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે તમારું આયોજન શું?
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તે અગાઉ રાજકોટ મનપાનું આજે અંતીમ જનરલ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડમાં વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવામાં આવ્યા હતા અને પ્રિ મોન્સુન, રોગચાળો અને પાણીના મુદ્દે ભાનુબેન સોરાણીએ સતાધીશોનું પાણી માપ્યુ હતું.
મહાપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરની જટીલ ગણાતી પાણીની સમસ્યા અંગે વિપક્ષને સવાલ કરતા પૂછયું હતું કે હાલ ડેમોના તળીયા દેખાવા આવ્યા છે ત્યારે શહેરને પાણી પુરૂ પાડવા માટે મનપા પાસે શું આયોજન છે. કેટલા વોર્ડમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કરોડો રૂપીયાની ગ્રાન્ટ હોવા છતા છેવાડાના વિસ્તારમાં પાણી સમસ્યા હલ કરવામાં સતાધીશો વામણા સાબીત થયા છે. ગ્રાન્ટ હોવા છતાં ભાદર લાઇનમાં વારંવાર ભંગાણ થતુ હોય છે. ન્યારીથી આજી વચ્ચેની એકસપ્રેસ લાઇનની કામગીરી કયાં અટકી છે? તેમજ શહેરને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ આપવા શું આયોજન? તેવા સવાલોથી ઘેર્યા હતા.
વધુમાં આરોગ્ય અંગે પુછતા સવાલો કર્યા હતા કે શહેરમાં રોગચાળાએ માજા મુકી છે. પાણીજન્ય રોગચાળાના કેસ છેલ્લા એક મહીનામાં કેટલા નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાથી ત્રણ મહીનામાં કેટલા કેસ નોંધાયા છે અને કેટલા મોત થયા છે? તેમજ મનપા દ્વારા અંદાજે 36 જેટલા આયુષ્યમાન આરોગ્ય ભવન કાર્યરત કરવામાં આવ્યા છે અને દર મહીને રૂા.25000 ભાડું ચુકવવામાં આવે છે અને તેમાં પણ સ્ટાફની પુરતી ભરતી નહીં કરતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તે ભરતી કયારે કરાશે?
વધુમાં સતાધીશોને પ્રજાલક્ષી સવાલમાં પુછયુ હતું કે મનપા દ્વારા શહેરમાં પ્રિ મોનસુનની કામગીરી કેટલી કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ભરાતા કેટલા સ્થળો છે? અને ત્યાં પાણી ન ભરાય તે માટે શું કાર્યવાહી કરાઇ? ચોમાસા બાદ રોડની હાલત ખરાબ થાય છે તો તેમાં કેટલા કરોડનું નુકશાન થયું છે? તેવા સવાલોથી શાસકપક્ષને વિપક્ષી નેતા દ્વારા ઘેરવામાં આવ્યા હતા.