જલારામબાપાને આપણે ભગવાન બનાવી દીધા, સાંઈબાબા તો મુસ્લિમ છે: ધારાસભ્યનો બફાટ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપનારા લોકો ફૂટી નિકળ્યા છે. ત્યારે કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સત્ય સાંઈબાબા વિષે વિનાકારણે બફાટ કરતો વીડિયો વાયરલ થતાં જલારામબાપા અને સાંઈબાબાના અનુયાયીઓમાં ભઆરે રોષ ફાટી નિકળ્યો છે.
ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એક કાર્યક્રમમાં પ્રવચન આપતા દેખાય છે. અને જણાવે છે કે, જલારામબાપાને આપણે ભગવાન બનાવી દીધા પેલો સાંઈબાબો ક્યાંનો છે ખબર નહીં, અને સાંઈબાબાને ભગવાન બનાવી દીધા. સાંઈબાબા તો આપણા છે નહીં... મુસ્લિમ છે અને સાંઈબાબાને ભગવાન બનાવ્યા, આ આપણી કમનશીબી છે. પુજવા જેવા સંતના બદલે આને પુજે છે. આપણામાં પંથાપંથીની મડાગાઠ છેને એટલે મુળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી.
બીજી તરફ ફતેસિંહ ચૌહાણનો આ વીડિયો વાયરલ થતાં રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને જલારામ બાપા વિષે વાણી વિલાસ કરનાર ફતેસિંહ ચૌહાણ વીરપુર આવીને માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે. જો ધારાસભ્ય માફી નહીં માંગે તો રઘુવંશી યુવા શક્તિસંઘ દ્વારા વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઠપકો આપી તેની સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.
રઘુવંશી યુવા શક્તિસંઘના આગેવાનોનું કહેવું છે કે, જલારામબાપામાં અઢારેય વરણમાં પૂજનીય સંત છે. ત્યારે ભાજપના ધારાસભ્યના આવા બફાટથી તમામ સમાજના લોકોની લાગણી દુભાઈ છે.