અંબિકા ટાઉનશિપમાં 7 દિવસથી પાણી બંધ : 200 લોકોની બબાલ
- અધિકારીઓ સેટિંગ કરી અમુક લોકોને રાત્રીના પાણી આપી રહ્યાના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી
ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. ત્યાં જ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની બુમારણ ઉઠવા લાગી છે. મવડી વિસ્તારમાં વોર્ડ નં. 11માં અંબીકા ટાઉનશીપમાં છેલ્લા 7 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ અને પુરુષ સહિતના 200થી વધુ લોકોના ટોળાએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે પાણી આપોના નારા લગાવી ધરણા ઉપર બેસી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જો એક સપ્તાહમાં નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં રસ્તા બંધ કરી ધરણા સહિતના આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલ અનેક નાના-મોટા ફ્લેટ તેમજ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારને છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી મળતુ નથી તેમજ જ્યારે પાણી આવે ત્યારે ફક્ત પાંચથી 10 મીનીટ ધીમીધારે પાણી આવતું હોય આ બાબતે અવાર નવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેવી જ રીતે આ વિસ્તારના અમુક એપાર્ટમેન્ટમાં રાત્રીના સમયે પુરા ફોર્સથી પાણી અપાતુ હોવાનું ધ્યાને આવતા આ વિસ્તારના લોકો ગુસ્સે ભરાયા હતાં અને આજરોજ સેન્ટ્રલજોન કચેરી ખાતે ધસી આવી પાણી આપોના નારા લગાવી ધરણા ઉપર બેસી ગયા હતાં. ત્યાર બાદ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને રજૂઆત કરી અને જણાવેલ કે, ગઈકાલે અમારા વિસ્તારમાં બગીચાનું ઉદ્ઘાટન કરવા મેયર સહિતના અધિકારીઓ પધાર્યા હતા છતાં તેઓએ અમારો પ્રશ્ર્ન હલ કર્યો નથી. અમારા વિસ્તારમાં પાઈપલાઈન નાખવાનું કામ ચાલતું હુતં ત્યારે પણ પાણી વગરના દિવસો કાઢેલા છે અને અમુક વિસ્તારોમાં પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ છે. પરંતુ જૂની લાઈનો મારફતે પાણી આપવામાં આવતુ નથી હાલ તમામ એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં બોર ડૂકી ગયેલ હોય ના છુટકે મોંઘાભાવનું પાણી ખરીદવું પડે છે. આથી જો એક સપ્તાહમાં પાણી અંગેનો નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા સહિતના આંદોલનકારી કાર્યકમો આપી તંત્રની આંખ ઉઘાડવામાં આવશે. અંબીકા ટાઉનશીપમાં આજે પાણી મુદદ્દે મનપામાં હલ્લાબોલ કયુર્ં હતું તેમના કાર્યક્રમ દરમિયાન લોકોએ ગેટની બહાર વાહનો રાખેલ હોય મોકો જોઈને ટ્રાફિક પોલીસે વાહનો પણ ડિટેઈન કરવાનું શરૂ કરતા મામલો બીચક્યો હતો અને ભારે સમજાવટના અંતે વાહનો છોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મોટાભાગના વાહન ચાલકો પોતાના વાહન લઈને નિકળી ગયા હતા. પરંતુ પ્રમુખ સહિતના બાકી રહી ગયેલા લોકોએ સાત દિવસની મુદત આપી પાણી મુદદ્દે લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ટેન્કરોની પણ મોટી રામાયણ
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા હજુ પણ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને મનપામાં ભળેલા નવા વિસ્તારોમાં જ્યાં પાણીની પાઈપલાઈન ન હોય તેવા વિસ્તારોમાં ટેન્કર દદ્વારા પાણી અપાય છે. પરંતુ ટેન્કર ચાલકોની મનમાની અને અમુક સ્થાનિકોની દાદાગીરીના કારણે સામાન્ય લોકોને આજે પણ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી જેની સામે હવે ઉનાળાના દિવસો શરૂ થવામાં હોય પાણીની જરૂરિયાત વધશે પરિણામે ટેન્કરો દ્વારા જે વિસ્તારમાં પાણી વિતરણ થઈ રહ્યું છે. તેવા વિસ્તારમાં અત્યારથી જ લોકોમાં પાણી મુદ્દે ગુસ્સો જોવા મળી રહ્યો છે.