પાટીદાર સંસ્થાઓ ઉપર વિપુલ ચૌધરીનો પ્રહાર, ઉગ્ર પ્રત્યાઘાત
- લેઉવા-કડવા પાટીદાર સમાજની સંસ્થાઓમાં કોઇ એવો કાર્યકર નથી જે બસમાં જાય!
- વિપુલ ચૌધરી બે સમાજ વચ્ચે પલીતો ચાંપવાનો ધંધો કરે છે, માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ-પૂતળા દહન: પાસ કન્વીનરની ચીમકી
મહેસાણાના અર્બુદા હોલ ખાતે આજે અર્બુદા સેવા સમિતિની સંગઠનની બેઠક મળી હતી. આ સંગઠનની બેઠકમાં અર્બુદા સેવા સમિતિના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કરી ચૌધરી અને પાટીદાર સમાજ વચ્ચે વિવાદ સર્જાય તેવી ટીપ્પણી કરી હતી જેના પગલે પાટીદાર સંસ્થાઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે અને વિપુલ ચૌધરીને અરીસો બતાવાયો છે.
બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં કડવા પાટીદાર કે લેઉવા પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે, પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બસમાં જાય એવો કાર્યકર કારોબારીમાં નથી. પશુપાલન કરતો કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી, પાટીદાર સંસ્થામાં માત્ર રૂૂપિયાનું મહત્વ છે. સેવાનું મહત્વ ઘટી ગયું છે તેવું વિવાદિત નિવેદન વિપુલ ચૌધરી એ આપ્યું હતું અને અર્બુદા સેના અને વિપુલ ચૌધરી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરશે તેવી વાત પણ મીડિયા સમક્ષ કરી હતી.
પાટીદાર સમાજના અગ્રણીઓ અને ધાર્મિક સંસ્થાનના મંત્રી બાદ પાટીદાર સમાજ અનામત આંદોલન સાથે સંકળાયેલ પાસ ક્ધવીનર નરેન્દ્ર પટેલ દ્વારા પણ વિપુલ ચૌધરીના નિવેદન ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. વિપુલ ચૌધરી નું નિવેદન તદ્દન વખોડવા લાયક હિન કક્ષાનું છે. પાટીદાર અને ચૌધરી સમાજ ભાઈ ચારા સાથે રહે છે. બંને સમાજ વચ્ચે વિપુલ ચૌધરીએ પલીતો ચોપવાનો ધંધો કર્યો છે.
વિપુલ ભાઈને આ શોભતું નથી. વિપુલભાઈ એ પાટીદાર સમાજની તાત્કાલિક માફી માગવી જોઈએ. પોતાનું વર્ચસ્વ વધારવા નિમ્ન કક્ષાના ઉચ્ચારણો ના કરવા જોઈએ. આગામી સમયમાં માફી નહિ માંગે તો પૂતળાં દહન અને ઉગ્ર વિરોધને વિપુલભાઈ એ સામનો કરવા તૈયાર રહેવું પડશે.
ખરાબ સંસ્થા વિષે બોલવુ જોઇએ, તમામ સંસ્થાને નિશાન બનાવવી અયોગ્ય
વિપૂલ ચૌધરીના નિવેદનને લઇ પાટીદાર સમાજના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. જેને લઈ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે નિવેદન આપી જણાયું કે હું વિપુલ ચૌધરીના નિવેદન ને વખોડું છું. કયા કારણે આવો ખોટો આક્ષેપ કર્યો ખબર નથી. 99 સંસ્થા સારી હોય અને એક ખરાબ હોય તો એના વિશે બોલવું જોઈએ સમગ્ર પાટીદાર અને દાતાઓ વિશે, ઊભી થયેલી સંસ્થાઓમાં સમાન શિક્ષણ સમાન સંસ્કારો આપવાની પ્રવૃત્તિ ચાલે છે. વ્યક્તિગત સંસ્થાઓમાં ક્યાંક પ્રશ્ન હોઈ શકે, પરંતુ સામાજિક સંસ્થાઓ માટે આ વાત યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.
પાટીદાર સમાજના લોહીમાં જ સેવા છે: ઉમિયા માતાજી સંસ્થાન
કડવા પાટીદાર સમાજના કુળદેવી એવા ઊંઝા ઉમિયાધામના મંત્રીએ પણ આ મુદ્દે નિવેદન આપી જણાવ્યું કે પાટીદાર સમાજના લોહીમાં જ સેવા છે. ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી બનાવવા દાતાઓ, કાર્યકર્તાઓ અને કડવા પાટીદારો, ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને નિયુક્તિ કરવામાં આવે છે. સંસ્થાના ઉપ પ્રમુખ ઘટોરભાઈ પટેલ ઉદ્યોગપતિ નથી,પણ માતાજીના ભક્ત તરીકે સેવક તરીકે 40 વર્ષથી જોડાયેલા છે. અમારી સંસ્થામાં એવું નથી કે સુખી સંપન્ન વ્યક્તિ જ સંસ્થાના વડા બને પાટીદાર સમાજના જીન્સ માં તમામ સમજોને સાથે રાખી સેવા કરવાનો ગુણધર્મ રહ્યો છે. પાટીદાર સમાજ હંમેશાં આપતો આવ્યો છે અને સમાજ વહીવટમાં દરેકને સાથે રાખીને ચાલે છે.