ગોંડલના સુલતાનપુરમાં ખેડૂત સહાય અરજી માટે રૂા.100 લેતા વીસીઇને છૂટો કરાયો
રાજ્યમાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂૂ.10 હજાર કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વહારે આવી છે. આ સહાય માટે હાલ અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂૂ છે. આ માટે ખેડૂતો પાસેથી એક પણ રૂૂપિયો લેવાનો નથી. અરજી માટે થતા ખર્ચના નાણા પણ ગુજરાત સરકાર ચૂકવે છે. જોકે ગોંડલના સુલતાનપુરમાં વી.સી.ઈ. (કમ્પ્યુટર ઓપરેટર) ખેડૂતો પાસેથી અરજી કરવા અરજી દીઠ રૂૂ. 100 લેતા હોવાની બાબત સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને સંબંધિત વી.સી. ઈ. ને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કરાયો છે. આ સાથે તેમની સામે ફોજદારી પગલાં લેવા પણ તેમણે નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, કૃષિ રાહત પેકેજ-2025 અંતર્ગત સહાય મેળવવા માટે ખેડૂત ખાતેદારોએ વી.સી.ઇ. મારફત ઓનલાઈન અરજી કરવાની રહે છે. વી.સી.ઇ. ને ડેટા એન્ટ્રી માટે પ્રતિ અરજી દીઠ રૂૂ. 20 રાજ્ય બજેટમાંથી ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું છે. વી.સી.ઇ.એ લાભાર્થી પાસે સહાયની અરજી પેટે કોઈ પણ રકમની માગણી કરવાની રહેતી નથી. જો કોઈ આવી માગણી કરે તો તેની સામે કડક પગલાં લેવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.
દરમિયાન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વી.સી.ઈ. શિવભાઈ માલાભાઈ ગોંડલીયા પાક નુકશાનીના વળતરના ફોર્મ ભરવા માટે, દરેક ફોર્મના રૂૂ.100 લેતા હોવાની ફરિયાદ ઊઠી હતી. આપ નાં નેતા જીગીશાબેન પટેલે રુબરુ રુ.100 નાં ઉઘરાણા નો ભાંડાફોડ કરી વિડીયો સોશિયલ મીડીયા માં વાયરલ કર્યો હતો.અને અખબારો માં પણ આ ઘટના ચમકી હતી.
આ બાબત ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જો કે વી.સી. ઈ. અરજીઓ માટે નાણાં લેતા હોવાની માહિતી સાચી હોવાનું સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને તાત્કાલિક છૂટા કરવાની કાર્યવાહી કરવાનો આદેશ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે. ઉપરાંત ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે નિયમોનુસારની ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે આ પ્રકારની અરજીઓ કરવા માટે વી.સી. ઈએ કોઈ પ્રકારના નાણાં ખેડૂત ભાઈઓ પાસેથી લેવાના થતા નથી અને અન્ય તમામ સબંધીતોને પણ આવી પ્રવૃત્તિ નહિ કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે.