અમરેલીમાં ફરી તાલિમી વિમાન રન વે પરથી સરક્યું, દુર્ઘટના સહેજમાં અટકી
અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકી છે. એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાઇલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાઇલટનું મૃત્યુ થયું હતું.
અમરેલીના પ્રાંત અધિકારી મહેશ નાકીયાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટ મેનેજરના કહેવા મુજબ, પ્લેન રનવે પર આવતા જ સ્લીપ ખાઈ ગયું હતું. તેમણે પણ કોઈ જાનહાનિ ન થઈ હોવાની અને અગાઉ પણ આવી એક ઘટના બની હોવાની વાત સ્વીકારી હતી.
આ અગાઉ 28/09/2025ના રોજ અમરેલી એરપોર્ટ પર એક ટ્રેનિંગ પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે, ટ્રેનિંગ લઈ રહેલા પાયલોટનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.