વડોદરાના વૃદ્ધને બેન્ડવાજા-આતશબાજી સાથે અપાઈ અંતિમવિદાય, લોકો ઊમટયા
ઘણીવાર સમાજમાં એવા દ્રશ્યો જોવા મળતા હોય છે જેને જોઈને તમને પણ અચરજ થાય. જે દ્રશ્યો જીવને જોવાનો, જાણવાનો અને માણવાનો એક અલગ નજરિયો આપી જાય છે. આવું જ એક સુંદર દ્રશ્ય હમણાં સંસ્કારી નગરી વડોદરામાં જોવા મળ્યું. જ્યાં એક 75 વર્ષના દાદાના નિધન પર તેમને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી. બેન્ડબાજા અને આતિશબાજી સાથે શાનથી નીકળી હતી આ દાદાની અંતિમ યાત્રા.
આ કિસ્સો છે રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલાં ફતેપુરા વિસ્તારનો ફતેપુરાના કુંભારવાડામાં રહેતા 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણનું અવસાન થતાં પરિવાર અને સમાજે બેન્ડવાજા-આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી હતી. અંતિમયાત્રા ફતેપુરાથી ખાસવાડી સ્મશાને પહોંચી હતી. જેમાં 500થી વધુ લોકો જોડાયા હતા. સ્વ.નવઘણભાઈના મોટા ભાઈ ભીખાભાઈ ચૌહાણનું 2 માસ પૂર્વે અવસાન થયું હતું. નવઘણભાઈ તેમનું અવસાન સહન કરી શક્યા ન હતા. વિસ્તારમાં નવઘણભાઈ અને ભીખાભાઈની જોડી રામ-લક્ષ્મણની જેમ મનાતી હતી. તેમના મોટા ભાઈની અંતિમ યાત્રા પણ આ રીતે જ કઢાઈ હતી. ફતેપુરા ખાતેથી વાજતે-ગાજતે નીકળેલી અંતિમયાત્રાને જોવા લોકોના ટોળાં ઊમટ્યાં હતાં. ઘરઆંગણેથી વાજતે-ગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાંપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.