વ્યાજખોરો બેફામ: એકે દુકાનની 7 લાખની ડિપોઝિટ પડાવી, બીજાએ મકાન પડાવી લીધું
વ્યાજખોરો કોલ કરી યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરતા સરધાર ગામ મુકી ઉત્તરપ્રદેશ રહેવા ચાલ્યો ગયો’તો
શહેરમાં તાજેતરમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં અનેક પીડિતો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં વ્યાજખોરો વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. ત્યારે વ્યાજખોરો સામે હાલ ગુના નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકનો બે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બન્ને વ્યાજખોરોએ યુવાનનું મકાન પચાવી પાડ્યું છે અને તેમણે દુકાન ખરીદવા માટે આપેલી રૂા.7 લાખની ડીપોઝીટ પણ પરત નહીં આપતા ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાંથી મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સરધાર ગામે રહેતા ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ નામના યુવાને સરધારના નિલેશ કાશીપરા અને ભુપગઢના વિવેકસિંઘ સિંધવનું નામ આપતા બન્ને વિરુધ્ધ બળજબરીથી પડાવી લેવું અને મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે બન્ને વ્યાજખોરને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. ઉમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે પિતા સાથે સરધાર ગામમાં મધુરમ પાઉંભાજી નામે ધંધો કરતા હતા. ત્યારે સાલ 2007માં નિલેશભાઇની બસસ્ટેન્ડ પાસે આવેલી દુકાન ભાડે રાખી હતી. જેમનું એક દુકાનનું ભાડુ ત્રણ હજાર એમ બે દુકાનના થઇ છ હજારનું ભાડુ પોતે તેમને ચુક્વતા હતા. ત્યારબાદ નિલેશભાઇએ એક કોમ્પ્લેક્ષ બનાવ્યું હતુ જેમાં દુકાનો બનાવી હોય ઉમેશભાઇએ દુકાન ખરીદવા માટે એક દુકાનમાં સાડા ત્રણ લાખ રૂપિયા ડીપોઝિટ પેટે જમા કરાવ્યા હતા.
ત્યાર બાદ વધુ એક દુકાનની જરૂરિયાત ઉભી થતા તેઓએ બીજી દુકાનનું સાડા ત્રણ લાખ રૂપિયા ડીપોઝીટ જમા કરાવી હતી. આમ તેમણે કુલ રૂા.7 લાખ જમા કરવ્યા હતા. એક દુકાનનું ભાડુ પાંચ હજાર રૂપિયા હતું. તેમજ દુકાનની ડિપોઝીટ લઇ લીધા બાદ બીજી દુકાન તેમણે ભાડે આપી ન હતી અને તેમણે દુકાનમાં પાંઉભાજીનો ધંધો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોય જેથી રૂપિયા સાલ 2020માં તેમણી પાસેથી વ્યાજે રૂપિયા પાંચ લાખ લીધા હતા. જેમનું ઉમેશભાઇ દર મહિને 35 હજારનો હપ્તો ચૂક્વતા હતા. ત્યાર બાદ ઉમેશભાઇ વ્યાજના ચક્રમાં ફસાઇ જતા નિલેશભાઇ અને અન્ય લોકો પૈસાની ઉઘરાણી કરતા પોતે પોતાના વતન જતા રહ્યા હતા અને નિલેશભાઇના ડીપોઝીટ પેટે આપેલા સાડા ત્રણ લાખ રૂપિયા પરત આપવાનું કહેતા પોતે પૈસા નહિં આપી અને દુકાનમાં રહેલો સામાન પણ પડાવી વેંચી નાખ્યો હતો.
ત્યાર બાદ આરોપી વિવેકસિંહ પાસેથી સાલ 2021માં રૂા.1 લાખ વ્યાજે લીધા હતા. તેમનું નિયમિત વ્યાજ ભરવામાં આવતું હતું. ત્યાર બાદ 2023ની સાલમાં 70 હજાર વ્યાજે લીધા હતા. જેમની સામે દર મહિને 700 એમ કુલ 6 મહિના સુધી તેમણે નાણા ચુકવ્યા હતા. ત્યાર બાદ પોતે ગામ મુકી વતન જતો રહ્યો હોય ત્યારે વિવેકસિંહ વોટ્એપ કોલ કરી અવાર-નવાર ધમકી આપતો હતો અને તેમણે ઉમેશભાઇના મકાનનું તાળુ તોડી મકાનમાં રહેલો સામાન પોતાના ગામે લઇ ગયો હતો અને મકાન પર કબજો જમાવી હાર્દિકભાઇ કુબાવતને મકાન ભાડે આપી દીધુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં પીઆઇ એ.બી.જાડેજા અને સ્ટાફ દ્વારા બન્ને વ્યાજખોરોને સંકજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
અમદાવાદના વકીલ પાસેથી સલાહ લઇ રાજકોટ લોક દરબારમાં વ્યાજખોર વિરુદ્ધ અરજી કરી હતી
આ બનાવ અંગે ફરિયાદી ઉમેશભાઇએ જણાવ્યું હતુ કે, તેમણે વિવેકસિંહે જે મકાન પડાવી લીધુ છે. તેમાં રહેતા ભાડુઆત હાર્દિક કુબાવતનો સંપર્ક ર્ક્યો હતો. તેમણે પાસેથી જાણવા મળ્યુ હતુ કે, વિવેકસિંહે તેમના મકાનમાંથી બે કુલર, એક ટીવી, ફ્રીજ અને સાત ગેસના બાટલા અને ફ્રર્નિચર તેમજ પત્નિનું મંગલસૂત્ર અને એક વિંટી સહિતનો સામાન પડાવી લીધો હતો. આ અંગે રાજકોટમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતા ઉમેશે અમદાવાદના વકીલની સલાહ લઇ લોક દરબારમાં એક અરજી આપી હતી.