જૂની પેન્શન યોજનાના મામલે આવતીકાલે સચિવાલયમાં કર્મચારીઓનું હલ્લાબોલ
- મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવાની જાહેરાત
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના (ઓપીએસ) સહિતના પડતર પ્રશ્નો માટે આંદોલન છતાં કોઇ નિરાકરણ ન આવતા આવતીકાલે રાજ્યના સેંકડો કર્મચારીઓ સચિવાલય ખાતે હલ્લાબોલ કરીને સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વ્યક્તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ મોરચાએ જાહેર કર્યો છે. ઓપીએસ ઉપરાંત ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારથી ભરતી કરવા મોરચાની માગ છે.
લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જ કર્મચારીઓ દ્વારા સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરી દ્વારા તમામ સરકારી કર્મચારી મંડળોને નવા કાર્યક્રમ અંગે જાણકારી અપાઇ છે. જેમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા કોઇપણ કાર્યક્રમ કરવા માટે મંજૂરી અપાતી નથી તેથી 14 માર્ચે રામધૂનનો કાર્યક્રમ સ્થગિત રખાયો છે અને હવે 15 માર્ચે રાજ્યના તમામ કર્મચારીઓ સીએમ પટેલને જૂની પેન્શન યોજના પુન: શરૂૂ કરવા અને ફિક્સ પગારની યોજના મૂળ અસરથી નાબૂદ કરવા નવા સચિવાલય ગાંધીનગર ખાતે આવીને વ્યક્તિગત રીતે આવેદનપત્ર આપવા જશે. મોરચા દ્વારા આ માટે આવેદનપત્રની નકલ પણ જારી કરવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે, ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2005થી નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) લાગુ કરાઇ છે. તેમાં પહેલાંની જેમ આજીવન મળતું પેન્શન બંધ કરાયું છે અને નવી સ્કીમમાં જે રકમ મળે છે તે અનિશ્વિત અને ઓછી મળતી હોઇ નિવૃતિ પછી જીવન નિર્વાહમાં મુશ્કેલ બને છે. તે સાથે સરકારમાં હાલ જ્ઞાન સહાયક, ફિક્સ પગાર, કરાર અધારીત ફિક્સ પે વગેરે મૂળ અસરથી નાબૂદ કરીને પૂરા પગારથી ભરતી કરવાની મુખ્ય માગ છે. જેનો ઉકેલ બાકી છે. સપ્ટેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી સમાધાન માટે પૂર્વે પાંચ મંત્રીની સમિતિ સાથે કર્મચારી મંડળો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વચન યાદ કરાવવા અનેક વખત રજૂઆત કરાઇ છે, પરંતુ હજુ સુધી તે ધ્યાને લેવામાં આવી નથી.