શેરીમાંથી રિક્ષા કાઢવા બાબતે પરિવાર પર ચાર શખ્સોનો હુમલો: યુવાનને છરી ઝીંકી
ભગવતીપરાનો બનાવ: ચારેય શખ્સોને સકંજામાં લેવા તજવીજ
શહેરના ભગવતીપરામાં આશાળા પીરની દરગાહ નજીક શેરીમાંથી રીક્ષા લઈ નીકળવા મામલે પિતા-પુત્રો પર ચાર સગા ભાઇઓએ ઢીકા પાટુનો માર મારી એક યુવાનને પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે. આ અંગે બીડીવીઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ભગવતીપરામાં રહેતા અને લીજેન્ડ ઓફ પંજાબ નામની ચાઇનીઝ- પંજાબી ફાસ્ટ ફુડની દુકાન ચલાવતા મીહીરભાઇ જગદીશભાઇ વાઘેલાએ ફરીયાદમાં સિકંદર રાઉમા, તેનો ભાઇ અફજલ રાઉમા, દરેડ ઉર્ફે દલીયો અને સમીર રાઉમાનું નામ આપતા તેની સામે ગુનો નોંધાયો હતો. મીહીરભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા મંડપ સર્વિસનું કામ કરે છે. ગઇકાલે તેઓ આશાળા પરની દરગાહ પાસે મંડપ સર્વિસના કામ અર્થે ગયા હતા અને ત્યાંથી કામ પુરૂ કરી તેની સાથે કારીગર યુવરાજ સાથે રીક્ષામાં સામાન ભરી પરત ફરતા હતા ત્યારે ચારેય આરોપીઓએ શેરીમાંથી રીક્ષા નીકળવા બાબતે માથાકુટ કરી યુવરાજને ઢીકાપાટુનો માર માર્યો હતો અને આ ઘટના બાદ ચારેય આરોપીઓ પીછો કરી ભગવતીપરા બ્રિજ ઉતરતા તેઓની દુકાન પાસે પહોંચ્યા હતા અને ચારેય શખ્સોએ મીહીર તેના પિતા, માતા અને ભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે ભાઇ આશિષને પેટમાં શરીનો એક ઘા ઝીંકી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે. આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.