ઉનાના નાળિયા માંડવીમાં પરિણીતાએ એસિડ પી લેતાં મોત
ઉનાના નાળીયા માંડવી ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમા માતમ છવાઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના નાળીયા માંડવી ગામે રહેતી રેશ્માબેન પીરભાઈ શેખ નામની 35 વર્ષની પરણીતા ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ઉના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રેશમાબેન શેખને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાણાવાવના રાણાકંડાણા ગામે રહેતી અંજનાબેન ભરતભાઈ ચૌહાણ નામની 40 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે બપોરના પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.