નવા લીધેલા ઘરના હપ્તા ન ભરી શકતા સુરતમાં સગા બે ભાઇઓનો આપઘાત
- મૃતકો મૂળ ભાવનગરના વલ્લભીપુરના વતની
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા એક જ પરિવારના બે સગા ભાઈઓએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. બંને ભાઈઓ આર્થિક સંકળામણમાંથી પસાર થતા હોવાની વિગતો સામે આવી છે. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના વલભીપુર ખાતેના વતની એવા સુતરીયા પરિવારના પરીક્ષિત સુતરીયા અને હિરેન સુતરીયા બંને ભાઈ છેલ્લા લાંબા સમયથી રત્ના કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 22 વર્ષ પહેલા પિતાનું મોત થયા બાદ પરિવારની જવાબદારી માટે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા. પોતે લીધેલા મકાનના હપ્તા ભરી ન શકતા તેમણે આ અંતિમ પગલું ભર્યુ હતુ.
ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારના સભ્ય બંને ભાઈઓને સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું. જોકે બંને યુવકોના મોત થવાની સાથે જ સુતરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ તાત્કાલિક ઘટના કરી દોડી જઈ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. પરિવારના સભ્યોની વાત માનીએ તો પરિવારને કોઈ આર્થિક સંકળામણ હોય એવી કોઈપણ વિગતો જાણવા મળી નથી. ત્યારે સૂત્રોની વાત માનીએ તો મકાનના હપ્તા ન ભરાવાની લઈને આ બંને ભાઈઓએ આ પગલું ભરવાની વિગતો સામે આવી રહી છે.