ગણપતિ પંડાલમાં કાર લોન્ચિંગનો તાયફો
ધાર્મિક મહોત્સવનું પણ વ્યાપારીકરણ, ત્રિકોણબાગના આયોજકોએ મર્યાદા ઓળંગતા ભાવિકોમાં રોષ
મહારાષ્ટ્રની માફક હવે રાજકોટમાં પણ ગણપતિ મહોત્સવની ભારે ધામધુમ અને આસ્થાભેર ઉજવણી થઈ રહી છે અને અનેક સંગઠનો તથા સેવાભાવિ સંસ્થાઓ સાથે રાજકીય પાર્ટીઓ પણ ‘રાજકીય લાડુ’નો લાભ લેવા મોટાપાયે ગણપતિ મહોત્સવની ઉજવણીના આયોજનો કરે છે .
પરંતુ હવે ગણપતિ મહોત્સવને પણ અમુક આયોજકોએ કમાણીનુ માધ્યમ બનાવી દેતા આસ્થાભેર દર્શન કરવા જતાં ભાવિકોને આંચકો લાગ્યો છે. શહેરના ત્રિકોણબાગ ચોકમાં વર્ષોથી ઉજવાતા ગણપતિ મહોત્સવમાં ગઈકાલે રવિવારની રજામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં તેનો લાભ લઈને આયોજકોએ પંડાલમાં જ લકઝરી કારનું લોન્ચિંગ કરાવવાનો તાયફો યોજતા દર્શને આવેલા ભાવિકો સમસમી ઉઠયા હતાં અને આયોજકોની ભારે ટીકા કરતાં જોવા મળ્યા હતાં. રાજકોટમાં લગભગ 300 થી વધુ સ્થળે ગણપતિના જાહેર પંડાલ ઉભા કરાવવામાં આવે છે.
પરંતુ દરેક પંડાલમાં મહેમાનોને બોલાવી તેના હાથે વિઘ્નહર્તાની આરતી ઉતારવી, તેમનું સન્માન કરવું તેમજ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવા જેવા કાર્યક્રમો યોજાય છે. લોકો પણ બારે આસ્થાભેર ગણપતિ દાદાની આરતી તેમજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે પરંતુ હવે રાજકોટમાં ગણપતિ પંડાલનું પણ અમુક લોકોએ વ્યાપારીકરણ શરૂ કરી દેતા ભાવિકોએ આંચકો અનુભવ્યો છે.શહેરના ત્રિકોણબાગ ચોકમાં જ થતા ગણપતિ મહોત્સવના આયોજકોએ પંડાલમાં ગણપતિ દાદાની સ્તુતીની જગ્યાએ કારના લોન્ચિંગનો કાર્યક્રમ યોજતા દાદાના દર્શને આવેલા ભાવિકોમાં પણ નારાજગી સાથે ગણગણાટ શરૂ થયો હતો. આયોજકોએ રવિવારની ભીડનો લાભ લઈ કાર લોન્ચિંગનો તમાસો કર્યાની ચર્ચા છે. આ તાયફાની લોકો અને દાદાના ભાવિકોમાં ભારે ટીકા થઈ રહી છે.