જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત બનવા બે સંતોએ કરી અરજી
જૂનાગઢના ભવનાથ મંદિરનો વિવાદ ફરી પાછો ઉપડ્યો છે. મહંતની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. બે સંતોએ મહંત બનવા માટે અરજી કરી છે. સાધુ કૌશિકગીરી અને સંત અમરગીરીએ અરજી કરી છે. કલેક્ટર સમક્ષ મહંતના હોદ્દા માટે અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલના હરિગીરી બાપુની મહંત તરીકેના હોદ્દા પરની સમયમર્યાદા 31મી જુલાઈના રોજ પૂરી થાય છે.
આના પગલે ગુરુશિષ્યની પરંપરાને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરમાં ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહંત તનસુખગીરી બાપુના અવસાન પછી અંબાજી મંદિરની ગાદીનો વિવાદ થયો હતો. તેમના સ્થાને નીમાયેલા હરિગીરી સામે ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કલેક્ટર અને હરિગીરી વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા અને ભૂતપૂર્વ મેયર ગિરીશ કોટેચાને પણ તેમા સંડોવ્યા હતા.
મહેશગીરીએ આક્ષેપ કર્યો હતો કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે ગેરકાયદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ માટે લાંચના સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. મહંત મહેશગીરીએ હરિગીરી પર તત્કાલિન કલેક્ટર અને અન્ય સાધુઓ સહિત અનેક લોકોને કરોડો રૂૂપિયા ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.