સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ દીઠ 45 પૈસા રાહત
વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર તરફ આકર્ષવા ચારેય વીજ કંપનીઓએ વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરેલી યોજના, મંજૂરી મળે તો આગામી એપ્રિલથી અમલ
1.30 કરોડ ગ્રાહકોને સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીના વીજવપરાશ ઉપર રાહત અપાશે, નવું મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા રાહત
ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર અંગે લોકોમાં ફેલાયેલી અલગ-અલગ માન્યતાઓના કારણે સ્માર્ટ મીટર ફીટ કરવાથી વીજ ગ્રાહકો દૂર ભાગી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારની ચારેય વીજ કંપનીઓએ ગ્રાહકો સ્માર્ટ વીજમીટર લગાવવા માટે આકર્ષાય તે માટે ગ્રાહકોને નિર્ધારિત સમય દરમિયાન વપરાનારી વીજળીના યુનિટદિઠ 45 પૈસાની રાહત આપવા તેમજ એનર્જી ચાર્જમાં બે ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે અને આ માટે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ દરખાસ્ત પણ કરી દીધી છે. જો આ દરખાસ્ત મંજૂર થશે તો આગામી નવા નાણાકિય વર્ષે એટલે કે, એપ્રિલ-2025થી ગ્રાહકોને આ લાભ આપવાનુ શરૂ પણ કરી દેવામાં આવનાર છે.
ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓના 1.30 કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટદીટ 45 પૈસાની રાહત આપવાની દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી 2025-26ના વર્ષની ટેરિફ પીટીશનમાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાડનારાઓને તેમના સંપૂર્ણ યુનિટના બિલ એટલે કે એનર્જી ચાર્જના બિલમાં 2%ની રાહત આપવામાં આવશે. આમ સ્માર્ટ મીટર લગાડનારનું એનર્જી બિલ રૂૂ. 5000 આવે તો તેને રૂૂ. 100ની રાહત આપવામાં આવશે. આ રાહતને વીજ વપરાશના સમયગાળા સાથે કોઈ જ નિસબત નથી.
ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓની આ દરખાસ્ત માન્ય થશે તો પહેલી એપ્રિલ 2025થી આ લાભ આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો વીજ વપરાશકારોને સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાડવા માટે પ્રેરવાનું પગલું આ ઓફર આપીને લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે. આ દરખાસ્ત સહિતની સમગ્ર ટેરિફ પીટીશન અંગે ગ્રાહકો અને ગ્રાહકોના હિતમાં કામ કરતી સંસ્થાઓના અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યા છે.
ખેતી વાડી સિવાયના હેતુઓ માટે હાઈ ટેન્શન, લો ટેન્શન, એન.આર.જી.પી. કે પછી ઈ.વી.સી.એસ.ની કેટેગરીમાં આવતા વીજ જોડાણ લેનારા દરેક વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી ત્રણ વાગ્યાના સમયગાળામાં વપરાનારી વીજળીના યુનિટ દીઠ ચાર્જમાં યુનિટે 45 પૈસાની રાહત આપવામાં આવશે. પરંતુ તેને માટે સ્માર્ટ મીટર લગાડવું જરૂૂરી છે. કારણ કે સ્માર્ટ મીટરથી જ દિવસના કયા સમયગાળામાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો રેકોર્ડ તૈયાર કરી શકાય છે. હા, સ્માર્ટ મીટર લગાડનારાઓ પાસે સિંગલ ફેઝના જોડાણ માટે મહિને રૂૂ.110 અને થ્રી ફેઝના જોડાણ માટે મહિને રૂૂ.150 લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ મીટર લગાડવાથી વીજબીલ ખૂબ ઉંચુ આવતુ હોવાની લોકોમાં ગેરમાન્યતા ફેલાઇ હતી. આવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવતા સ્માર્ટ વીજ મીટરનો ઠેરઠેર વિરોધ ઉઠયો હતો જેના પગલે વીજ કંપનીઓએ આ મહત્વાકાંક્ષી યોજનામાં પારોઠના પગલા ભર્યા હતા અને જૂનુ મીટર બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવુ ફરજિયાત નહીં હોવાનુ જાહેર કર્યુ હતુ. જો કે, નવા ગ્રાહકોને તો સ્માર્ટમીટર ફરજિયતા આપવામા આવી રહ્યા છે. પરંતુ જૂના ગ્રાહકોના વીજ મીટર બદલવા માટે આવી આકર્ષક યોજનાઓ લાવવામાં આવનાર છે. ત્યારે ગ્રાહકોમાં આ યોજનાને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું