શહેર તેમજ જિલ્લામાં અકસ્માતમાં બે લોકોનાં મોત
લાલપુરના પીપરટોડા પાસે ગયા ગુરૂૂવારે બે બાઈક ટકરાઈ પડ્યા હતા. જેમાં ગોરખડી ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર સામેના બાઈકચાલક સામે મૃતકના પુત્રએ ફરિયાદ કરી છે. શુક્રવારે રાત્રે ઠેબા બાયપાસ પાસે થયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે ધ્રોલના વાંકિયા પાસે આઈશરની ઠોકરથી બે મોટર ટકરાઈ પડી હતી.જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના મનસુખભાઈ મેપાભાઈ ચાવડા (ઉ.વ.39) નામના વૃદ્ધ ગયા ગુરૂૂવારે સવારે સાડા આઠેક વાગ્યે જામનગરથી જીજે-10-સીક્યુ 4433 નંબરના મોટરસાયકલ માં ગોરખડી ગામ જવા રવાના થયા હતા.
તેઓ જ્યારે લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી ધસી આવેલા જીજે-10-સીએફ 2880 નંબરના હીરો મોટર સાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો. કપાળમાં ઈજા તથા હેમરેજ થઈ જવાથી મનસુખભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ચિરાગ ચાવડાએ લાલપુર પોલીસ મથકમાં 2880 નંબરના મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોેંંધાવી છે.જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા સુપર સીક્સ રેસ્ટોરન્ટ નજીકથી શુક્રવારે રાત્રે દસેક વાગ્યે એમપી-45-ઝેડએ 9525 નંબરના મોટર સાયકલમાં મૂળ ઉત્તરપ્રદેશના જાંબુવા જિલ્લાના લલેશ ગાંડુભાઈ ડામોર તથા નાહરસિંગ જીતરાભાઈ ડામોર નામના યુવાનો જતા હતા. ઠેબા બાયપાસ પાસે ઝૂંપડામાં રહેતા આ યુવાનોમાંથી લલેશ ડામોર વાહન ચલાવી રહ્યા હતા. તેઓએ આગળ જતા કોઈ વાહનની પાછળ બાઈક ટકરાવી દેતા બંને વ્યક્તિ બાઈક પરથી ફંગોળાયા હતા. અકસ્માતમાં લલેશ ડામોરનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નાહરસિંગને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. પોલીસે તેના નિવેદન પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કની શેરી નં.6માં રહેતા બાલાભાઈ જસાભાઈ ભાગીઆ ગઈકાલે બપોરે ધ્રોલના વાંકિયા ગામ પાસેથી જીજે-36-એજે 7837 નંબરની મોટરમાં જતા હતા ત્યારે જીજે-18-બીટી 1652 નંબરના આઈશરે તેઓને પાછળથી ટક્કર મારતા બાલાભાઈની મોટર આગળ જતી જીજે-10-ડીજે 8331 નંબરની મોટરમાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં બંને મોટરમાં નુકસાન થયું છે. રેલવેમાં નોકરી કરતા બાલાભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આઈશરચાલક સામે ફરિયાદ કરી છે.