ચોટીલામાં બીજ ભરીને પરત ફરતા પિતા-પુત્ર સહિત ચાર પૈકી બેને કાળ ભરખી ગયો
દર્શને ગયેલા એકના એક પુત્રનો મૃતદેહ જ ઘરે પહોંચતા પરિવાર પર આભ ફાટયું
રાજકોટ અમદાવાદ હાઈ-વે પર માલીયાસણ નજીક અકસ્માતમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં ડમ્પરે એસેન્ટ કારને હડફેટે લેતા તેમાં બેસેલા કાર ચાલક પાર્થ ભરતભાઈ સોલંકી (રહે.નહેરૂનગર નાનામવા રોડ) અને હિરેનભાઈ વશરામભાઈ સગપરીયા (રહે.મનહર પ્લોટ)વાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જેમાં હિરેનભાઈ બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે તેઓ ખોડીયાર ગેરેજના નામે ધંધો કરે છે તેમજ કાર ચાલક પાર્થ સોલંકી રાજકોટમાં પરિવાર સાથે રહી કોલેજમાં અભ્યાસ કરે છે અને તે એક બહેનનો એકનો એક ભાઈ હતો.
આ અકસ્માતમાં ઘવાયેલા તેમના પિતા ભરતભાઈને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે કુવાડવા આરોગ્ય કેન્દમાં લઈ જવ્યા હતાં તેમજ તેમની સાથે રહેલા પાર્થના મિત્ર નિખિલ ગૌરાંગભાઈ સાગઠીયા (ઉ.21 રહે.ભીમરાનગર શેરી નં.1, નાનામવા રોડ)ને પણ ઈજા પહોચતાં તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. નિખીલ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ પાર્થના પિતાને મંગળા રોડ પર ગાડીના સ્પેર પાર્ટસની દુકાન છે.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર પાર્થ સોલંકી તેમના પિતા ભરતભાઈ સોલંકી અને તેઓના મિત્રો નિખીલ અને હિરેનભાઈ તમામ દર બીજે ચોટીલા માતાજીના દર્શર્ને જતાં હોય આજે તેઓ ચોટીલા બીજના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી લગભગ સવા આઠ વાગ્યે પરત રાજકોટ ફરતાં હતાં ત્યારે તેઓની કાર માલીયાસણ બ્રીજથી આગળ પહોંચતાં ડમ્પરના ચાલકે પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પાર્થનો મૃતદેહ તેમના ઘરે પહોંચતાં પરિવારમાં શોક છવાયો છે અને હિરેનભાઈના મૃત્યુથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
કારમાં રહેલા મૃતદેહો બહાર કાઢવા સ્થાનિક વાહનચાલકો પણ મદદે આવ્યા
માલીયાસણ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ચાર વ્યકિતના મોત નિપજ્યા હતાં. આ અકસ્માતમાં બન્ને કારનો બુકડો બોલી ગયો હતો. જેથી મૃતદેહો ને બહાર કાઢવા સ્થાનિક વાહનચાલકો પણ મદદે આવી પહોંચ્યા હતા અને મૃતદેહો બહાર કાઢવા પ્રયાસો કર્યા હતાં. ત્યારબાદ કોઈએ ક્રેઈન બોલાવતાં ગાડીના પતરા કાપી ચારેયના મૃતદેહો બહાર કાઢયા હતાં. આમ સ્થાનિક વાહન ચાલકોએ પણ અકસ્માતમાં માનવતા દાખવી કામગીરી કરી હતી.
અગાઉ માલિયાસણ નજીક અકસ્માતમાં નિવૃત્ત પોલીસમેન સહિત ચારનાં મોત નીપજ્યા હતાં
આજે સવારે માલીયાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતાં ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ નજીક અનેકવાર ગંભીર અકસ્માતો સર્જાય છે અને અનેકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અગાઉ પણ માલીયાસણ નજીક ઈકો કારમાં સવાર નિવૃત્ત પોલીસ મેન સહિત ચાર વ્યકિતના મોત નિપજ્યા હતાં. આ ચારેય મૃતક રાજકોટનાં વતની હતાં.