3 કરોડની છેતરપિંડીમાં સ્વામિનારાયણના સાધુ ટોળકીના વધુ બે સાગરીત ગોવાથી પકડાયા
રાજકોટનાં જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા બે ભાગીદાર જસ્મીન માઢક અને જય મોલીયા સાથ મંદીર માટે જમીન ખરીદવાના નામે સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર સાધુ સહિત ટોળકીએ કરેલી રૂા.3 કરોડની છેતરપીંડીમાં સ્વામીનો સાગ્રીત લાલજી ઢોલા સુરતથી પકડાયા બાદ આ ચીટર ટોળકીના વધુ બે સાગ્રીત ભુપેન્દ્ર પટેલ અને વિજય ચૌહાણને રાજકોટ આર્થિક ગુના નિવારણની શાખાએ ગોવાથી ઝડપી પાડયા હતાં. સ્વામીનારાયણના સાધુ સાથે મળી નકલી ખેડૂત બની જમીન મકાનના દલાલી કરતાં બન્ને ભાગીદારો સાથે આ ટોળકીએ છેતરપીંડી કરી હતી.
મંદિર માટે જમીન ખરીદવાના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર સ્વામીનારાયણ સાધુ ગેંગનો રાજકોટમાં શિકાર બનેલા જસ્મીન માઢક અને જય મોલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જમીનના દલાલ સુરતના સુરેશ મારફતે સ્વામીઓએ ધોરાજીનાં ઝાલસર શ્રીધામ ગુરૂકુલના વિજય સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢ તળેટી મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, પાનેલી અંકલેશ્ર્વર રૂષીકુળ ગૌધામના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદ ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, વડતાલ સ્વામીનારાયણ મંદિરના ખજાનચી બનેૈલા સુરતના પરબત પાટીયા મણીભદ્ર કોમ્પલેક્ષ લાલજી બાવ ઢોલા,. પુના ગામ પરમેશ્ર્વર સુરેશ ધોરી, દેહગામના ખેડૂત બનેલા ભુપેન્દ્ર શના ચૌહાણ અને વિજયસિંહ ચૌહાણ મળી કારસ્તાન આચર્યુ હતું. 500 વિઘા જમીન ખરીદવાના નામે લાલચ આપી ટોકન પેટે રૂા.3.4 કરોડ ખેડૂતને ચુકવ્યા હતાં.
ટોકનની રકમ આપવાનો વાયદો કરી છેતરપીંડી કરનારી આ ટોળકી વિરૂધ્ધ ગુનો નોંધાયા બાદ આ બનાવની તપાસ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને આપવામાં આવી હોય પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા અને તેમની ટીમે સુરતના લાલજી ઢોલાની સરથાણામાંથી ધરપકડ કર્યા બાદ આ ટોળકીના ભુપેન્દ્ર અને વિજય ચૌહાણને ગોવાથી ઝડપી લેવામાં આવ્યા હતાં. હવે આ મામલે કૌભાંડની કળીઓ મેળવી અન્ય ફરાર શખ્સો અને સ્વામીનારાયણના સાધુને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.