ધોરાજી નજીક ટ્રેન અડફેટે દીપડી-બે બચ્ચાંનાં મોત
સૂપેડી પાસેનાં સાંકડા રેલવે બ્રિજ ઉપર મોડી રાત્રે બનેલી ઘટના, અરેરાટી
છેલ્લા કેટલાક સમયથી જંગલથી દૂર આવેલા શહેરી વિસ્તારો સુધી દિપડાની રંજાડ વધી છે અને ગુજરાત ભરમાં અનેક સ્થળે દિપડાઓની રંજાડના સમાચાર આવી રહ્યા છે ત્યાં રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદીના રેલવે પુલ ઉપર એક દીપડી અને તેના બે બચ્ચા ગત મોડીરાત્રે ટ્રેન હડફેટે કપાઇ જતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.
ભાદર નદી ઉપર બનેલો આ રેલવે બ્રિજ એકદમ સાંકડો હોવાથી ત્યાંથી પસાર થઇ રહેલી દીપડી અને તેના બે બચ્ચાને ભાગવાની જગ્યા મળી ન હોવાથી ટ્રેન હડફેટે મોતને ભેટયાનું માનવામાં આવે છે.વધુ માહિતી પ્રમાણે,રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સૂપેડી ગામે રેલ્વે ટ્રેક પર દીપડો તેમજ બે બચ્ચાં ટ્રેન અડફેટે ચડતા મોત નીપજ્યાની ઘટના સામે આવી હતી.ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને જાણ થતાં તેઓ તેમજ રેલવેનો સ્ટાફ પણ ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો અને દીપડો તેમજ તેમના બંને બચ્ચાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ મામલે હાલ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.રેલવે સ્ટાફમાંથી જાણવા મળ્યું હતું કે ટ્રેન પોરબંદરથી ભાવનગર તરફ જઈ રહી હતી ત્યારે દીપડો અને તેમના બે બચ્ચા પાટા ઓળંગી રહ્યા હોય ત્યારે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે.આ ઘટનાને લઇને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો હતો.જેમાં યુનિવર્સિટીમાં સવારે અને સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. તો રાત્રીના સમયે કેમ્પસમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.