સાંગણવા ચોકનો બે કિમી.વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર
કોટક શેરી-2માં મહિલાનો રિપોર્ટ કોલેરાનો આવતા તંત્ર દ્વારા તાબડતોબ ડોર ટુ ડોર સરવે
શહેરીજનો ભારે વરસાદમાંથી માંડ માંડ મુક્તા થયા છે. ત્યાં જ પાણીજન્ય રોગચાળાએ ફરિ દસ્તક દીધી હોય તેમ કોલેરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત મંગળવારે સાંગણવા ચોક પાસે કોટક શેરી નં.2માં એક મહિલાને ડાયેરીયા થયા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં રીપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા તંત્ર દ્વારા કોટક શેરી નં.2ના આજુબાજુના 2 કિમી. વિસ્તારને કોલેર ભયગ્રસ્ત જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા 250થી વધુ ઘરોમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત થતા જ આજ સુધીમાં કોલેરાના નવા ચાર કેસ નોંધાતા તંત્ર ફરી દોડતું થઇ ગયું છે.
ચોમાસા દરમિયાન ડહોળા પાણીના કારણે પાણી જન્ય રોગચાળો દર વર્ષે વકરતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં જ કોલેરાના કેસ શરૂ થતા આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ ઝડપી બનાવી હતી. ત્યાર બાદ તહેવારોમાં સતત વરસાદ વરસતા પાણી જન્ય રોગચાળાને વધુ વેગ મળ્યો હોય તેમ ઝાળા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત મંગળવારે સાંગણવા ચોક પાસે આવેલ કોટક શેરી નં.2માં રહેતા એક મહિલાને ડાયેરીયા થયા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં રીપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી.
મહિલાના જણાવ્યા મુજબ તેઓએ બોરવેલનું પાણી પીધા બાધ ડાયેરીયાની અસર થઇ હતી અને તે વધતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. કોલેરાનો એક કેસ કોટક શેરીમાં આવતા તંત્ર દ્વારા આજુબાજુના 2 કીમી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલ તેમજ 250થી વધુ ઘરોમાં ચકાસણી કરી બોરના પાણીના સેમ્પલ વઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોટક શેરી નં.2 અને આજુબાજુના વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી વધુ તેજ બનાવી ફોંગીગ તેમજ કોલેરા વિરોધી ટેબલેટ વિતરણ કરવાનો પ્રારંભ ર્ક્યો છે.
દુષિત પાણી રોગચાળો નોતરશે
શહેરમાં કોલેરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ પીવાના પાણીની જર્જરિત લાઇનોમાં ડ્રેનેજનું પાણી ઘુસી જવાના કારણે આ સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની હતી. જેમાં લાઇન ઉપર મુકવામાં આવેલ વાલ્વમાં પણ દુષિત પાણી ઘુસી જવાના કારણે લોકોના નળમાં ગંદુ પાણી આવી રહ્યુ છે. જે પીવાના કારણે ઝાળા-ઉલ્ટીના કેસમાં વધારો થવાની સાથે કોલેરાના કેસ સતત વધી રહ્યા છે. આથી દુષિત પાણી રોગચાળો નોતરશે તેવું ચર્ચાઇ રહ્યું છે.