રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે પાકા કામના કેદી ધો.12માં પાસ
જેલમાં બંધ કેદીઓ પણ હવે શિક્ષણના માધ્યમથી સમાજની અગ્રીમ હરોળમાં જોડાવવા માટે તત્પર છે. આ વાતની સાક્ષી પુરે છે ગુજરાત જેલમાં રહીને સજા ભોગવી રહેલા ધો.10 અને ધો.12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ. ત્યારે રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદી ધો.12માં ઉર્તિણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુળ કચ્છ ગાંધીધામના અને હાલ રાજકોટ જેલમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા હિતેશ ગોવિંદભાઈ નટ નામના કેદીએ ધો.12ની તૈયારી કરી અને બાદમાં આ વર્ષે પરિક્ષા આપી હતી તેઓ ધો.12માં સારા માર્કસ સાથે પાસ થયા હતાં. તેઓને 30-12-2022ના રોજ સજા પડી હતી અને તેઓ છેલ્લા ચાર વર્ષથી રાજકોટ જેલમાં બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ અન્ય કેદી ગીર સોમનાથ જિલ્લાના યોગેશભાઈ કરશનભાઈ ચાંડપા જેઓ દુષ્કર્મના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ જેલમાં બંધ છે અને તેઓને 2022માં આજીવન કેદની સજા પડી છે તેઓ પણ ધો.12માં પાસ થયા હતાં.
મહત્વની વાત એ છે કે જુદા જુદા ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓ સન્માનજનક જીવન અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે શિક્ષણ મહત્વની ભુમિકા ભજવે છે જેના કારણે કેદીઓમાં પોઝીટીવ પરિવર્તન અને નવો અભિગમ જોવા મળી રહ્યો છે. આથી જેલ તંત્ર અને વેલફેર ઓફિસર દ્વારા કેદીઓને શિક્ષીત કરવા તેઓની ગુનાખોરીની માનસિકતા બલવા માટે તેઓને શિક્ષીત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. જેલ તંત્રનું મુખ્ય લક્ષ્ય છે કે આ કેદીઓ જ્યારે જેલની દુનિયામાંથી બહાર આવે ત્યારે સમાજ તેને એક ગુનેગાર નહીં પરંતુ એક સભ્ય અને શિક્ષીત સભ્ય તરીકે જુવે તે છે.