રીબડા નજીક આખલા સાથે બાઇક અથડાતાં બે મિત્રો ફંગોળાયા, એકનું સારવારમાં મોત
બન્ને પીપળિયા ગામે નોકરી પર જતા હતા, મૃતકના પરિવારમાં શોક છવાયો
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મુખ્ય માર્ગો પર અનેકવાર અકસ્માતો સર્જાય છે અને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા રીબડાના પાટીયા પાસે આખલા સાથે બાઇક અથડાતા બાઇક સવાર બે મિત્રો રસ્તા પર ફંગોળાયા હતા અને તેમને ઇજાગ્રસ્ત હાલતમાં અંહીની સિવિલ હોસ્પિટલે ખસેડવામં આવતા એકનું સારવારમાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને હાથમાં ફેક્ચર આવ્યું હતું.
બનાવની વિગતો અનુસાર, શાપર-વેરાવળના શાંતિધામ સોસાયટીમાં રહેતા મનસુખભાઇ બિજલભાઇ સાકરીયા (કોળી) (ઉવ.40) જેઓ તેમના મિત્ર નયન સજુભાઇ ખાણીયા (ઉ.વ.23)ની બાઇક પર બેસી રીબડા નજીક આવેલા પીપળીયા ગામે કંપનીમાં નોકરીએ જતા હતા ત્યારે રીબડાના પાટીયા પાસે રસ્તા પર આખલા સાથે બાઇક અથડાતા ચાલક નયન અને મનસુખ બન્ને રસ્તા પર ફંગોળાયા હતા અને બન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા મનસુખભાઇનું સારવારમાં મોત નિપજ્યું હતુ.
જ્યારે નયનનો હાથ ભાંગી ગયો હતો. તેમજ મૃતક મનસુખ કોળીને સંતાનમાં બે દીકરા અને પોતે ચાર ભાઇ એક બહેનમાં બીજા નંબરનાં હતા. મનસુખભાઇના મોતથી પરિવારમાં શોક છવાયો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.