બે દિવસ પહેલાં જ બિહારથી આવેલા શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
આજી ડેમ ચોકડી પાસે માંડા ડુંગરનો બનાવ : કારણ અકબંધ
શહેરના આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં બે દિવસ પહેલા જ મજુરી કામે આવેલા મુળ બિહારના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલ આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં આવેલા પરશુરામ સોસાયટી શેરી નં.2માં શિવહરિ ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા સુરજ સુભાષભાઈ ઠાકુર ઉ.વ.20 નામના યુવાને આજે સવારે પોતાની ઓરડીમાં પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સુરજ પાંચભાઈ બે બહેનમાં મોટો અને અપરણિત હોાવનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં તે મજુરી કામ અર્થે બે દિવસ પહેલા જ પોતાના વતન બિહારથી રાજકોટ આવ્યો હતો. ત્યારે આ પગલું તેણે શા માટે ભરી લીધું તે અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.