રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ આણંદના બે નેતાઓએ રાજીનામા ધર્યા
રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યાને હજુ ગણતરીના જ કલાકો થયા છે ત્યાં જ કોંગ્રેસના વધુ બે નેતાએ રાજીનામા આપ્યા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂૂરી છે.
મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા હતા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા હતા. આ આરોપોની વચ્ચે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલાં હજુ વધુ રાજીનામાં પડી શકે તેવી શક્યતા છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાનો સાધતા પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણસર વિજય બારૈયા અને વિજય જોશીએ રાજીનામાં આપ્યાનું કહેવાય છે. રાહુલ ગાંધી 26 જુલાઈ, 2025ના રોજ ગુજરાત આવ્યા હતા.