નકલી ટોલનાકા કાંડમાં અંતે બે આરોપીની ધરપકડ, બે હજુ ફરાર
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર કાંડમાં 26 દિવસ બાદ મોરબી જિલ્લા પોલીસ એક્શનમાં
મોરબીના વાંકાનેર નજીકના નકલી ટોલનાકાના ભારે ચર્ચાસ્પદ પ્રકરણમાં કોર્ટે આગોતરા જામીન નામંજુર કર્યા બાદ અંતે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાના પુત્ર સહિત બે હજુ પોલીસ પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક હાઈવે ઉપર સમાંતર નકલી ટોલનાકું ઉભુ કરી બારોબાર કરોડો રૂપિયા ઉઘરાવીલેવાના ચર્ચાસ્પદ કાંડમાં આજે પોલીસે અંતે રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરી છે.
જ્યારે જેની ફેક્ટરીમાં નકલી ટોલનાકું ધમધમતુ હતું તે અમરશીભાઈ જેરામભાઈ વાંસજાળિયા તથા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી-વાંકાનેર હાઈવે પર વઘાસિયા ગામ પાસે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાના પુત્ર અમરશીભાઈ વાંસજાળિયાની ફેકટરી ભાડે રાખી તેમાં નકલી ટોલનાકું ખોલવામાં આવ્યું હતું અને લગભગ દોઢ વર્ષ સુધી બારોબાર વાહનો પાસેથી ટોલટેક્સના ગેરકાયદેસર ઉઘરાણા કરવામાં આવ્યા હતાં. આ કૌભાંડનો ભાંડાફોડ થતાં અંતે પોલીસે ખુદ ફરિયાદી બની ચાર શખ્સો સામે 3 ડિસેમ્બરના રોજ ગુનો દાખલ કર્યો હતો.