બે આધાર કેન્દ્રોના ઓપરેટરોને પાણીચું, કામગીરી ઠપ
વોર્ડ નં. 3 અને 16માં આધારની સેવાઓ બંધ થતાં દેકારો, અરજદારોને અન્ય કેન્દ્રોની મુલાકાત લેવી પડી
મહાનગરપાલિકાની સૌથી વધુ વ્યસ્ત સેવા એટલે કે, આધારકાર્ડની કામગીરી કાયમી રહી છે. અરજદારો અલગ અલગ પ્રકારના કામો માટે આધારકાર્ડ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં આવતા ત્રણેય ઝોનલ કચેરી ખાતે લાંબી લાઈનો લાગતી હતી. જેના લીધે તંત્ર દ્વારા દરેક વોર્ડના અરજદારોને વોર્ડ ઓફિસેથી આ સેવાનો લાભ મળી શકે તે માટે 1 એપ્રિલથી વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની તમામ કામગીરી શરૂ કરાવી છે. પરંતુ સરકારના નિયમ મુજબ ક્વેરી આવ્યા બાદ આધારકાર્ડ કેન્દ્ર ઓપરેટરને છુટા કરવામાં આવતા હોય સમસ્યા આજે પણ યથાવત રહી છે. જેના લીધે વોર્ડ નં. 3 અને 16ના તમામ ઓપરેટરોને યુઆઈડી વિભાગ દ્વારા ફરજ મુક્ત કરાતા બન્ને વોર્ડમાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે.
યુ.આઈ.ડી આધાર કેન્દ્રની કામગીરીનું વિકેન્દ્રિકરણ કરતા તા.01/04/2025થી રાજકોટ મહાનગરપાલિકા કુલ 1 થી 18 ની વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, આ વોર્ડ ઓફિસો ખાતેના આધાર કેન્દ્રો પૈકી વોર્ડ નંબર-3 (આસ્થા ચોક,સાધુ વાસવાણી કુંજ રોડ,રાજકોટ) તેમજ વોર્ડ નંબર-16 (મેહુલનગર શેરી નંબર-6) ખાતેના આધાર ઓપરેટરોને યુ,આઈ.ડી વિભાગ દ્વારા હાલ ફરજ મોકુફ કરવામાં આવેલ છે, સબબ આ બન્ને વોર્ડ ખાતેના આધાર કેન્દ્રની કામગીરી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા(નવા ઓપરેટરની કીટ કાર્યરત)ન થાય ત્યાં સુધીનાં સમય માટે બંધ રહેશે, જેની જાહેર જનતાને નોધ લેવા-તેમજ આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ તેમજ લગત ઝોન ઓફીસ ખાતે આધારની કામગીરી મુલાકાત લેવા જાહેર જનતાને આથી અનુરોધ કરવામાં આવે છે.