જુગારના ગુનામાં મહિલાઓને મોડીરાત સુધી બેસાડી રાખતા તાલુકા પોલીસના ફોજદારની બદલી
રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી. ત્રાજિયા અને હેડ કોન્સ્ટેબલની બદલીનો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઓર્ડર કર્યો હતો.પીએસઆઈ પી.બી.ત્રાજિયા ડી.સ્ટાફ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.જાહેરહિતમાં બંનેની બદલી થયાનો ઓર્ડરમાં રાબેતા મુજબ ઉલ્લેખ કરાયો છે.
ગઈ તા.2ના તાલુકા પોલીસની ટીમે મવડીના 80 ફૂટ રોડ પરના પ્રમુખ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા આઠ મહિલાને ઝડપી લીધી હતી.તમામ મહિલાઓ આર્થિક સુખી સંપન્ન પરિવારની હતી.આ મામલામાં પોલીસ પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા હતા તેવું નહોતું, સાંજનો સમય થઈ ગયો હોય તમામ મહિલાઓને નોટિસ આપીને જવા દેવાની બદલે મોડી સાંજ સુધી કાર્યવાહીના નામે મહિલાઓને બેસાડી રાખી હતી.ત્યારબાદ ભાજપના આગેવાન તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ભલામણ કરી હતી.પરંતુ પીએસઆઈ ત્રાજિયા અને હેડ કોન્સ્ટેબલ ઝાલાએ આગેવાનની વાત ધ્યાને લીધી નહોતી અને આઠેય મહિલાઓ સામે જુગાર રમવાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ સ્ટાફ ભલામણથી ઉશ્કેરાયા હોય તેમ મહિલાઓ સાથે સખ્તાઈ શરૂૂ કરી મહિલાઓને રીઢા ગુનેગારની જેમ બેસાડવામાં આવી હતી.તેમાંથી એક મહિલા સાથે તેનું નાનું બાળક પણ હતું.એટલું જ નહીં ભાજપના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ગુનો નોંધ્યો હતો અને પોલીસ મથકમાં લઈ જવાયેલી મહિલાઓને છોડવા માટે પોલીસે મલાઇની અપેક્ષા રાખી હતી જે પૂરી નહીં થતાં પોલીસે કડકાઈ દાખવી હતી.પોલીસની આ નીતિ સામે જવાબદાર સામે ગાંધીનગરથી કાર્યવાહીનો આદેશ છૂટ્યો હતો.જેના પગલે તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બદલી થઈ હતી.