પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. આજે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક મંડપ ધરાશાયી થતાં અફરાતફરી સર્જાય હતી. આ આ ઘટનામાં એક દર્શનાર્થીનું મોત થયું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી વિગતો અનુસાર, પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજે સવારના સમયે મંડપ ઊભો કરતી વખતે અચાનક જ મંડપ નીચે પટકાયો હતો. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અંદાજે 50થી 55 ફૂટ ઊંચો મંડપ હતો. મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણિયા નામના પૌઢને માથાના ભાગે ઇજા થવાને કારણે તેમનું મોત થયું. વનરાજભાઇ ગોરાણિયા સરકારી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડમાં ફરજ બજાવે છે. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.