ટ્રાફિક પોલીસે આડેધડ વાહનો ટોઈંગ કરતાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
ધર્મેન્દ્ર રોડ પર પાથરણાં અને રિક્ષાનું દબાણ દૂર કરવાના બદલે તંત્ર દ્વારા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ઉપાડી જતાં ઉગ્ર આક્રોશ
શહેરની મધ્યમાં આવેલી મુખ્ય બજાર ગણાતા લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર પાથારણાવાળા અને રેંકડીઓના ત્રાસ અંગે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ટ્રાફીક પોલીસ દાવારા પાથરણા અને રેંકડીઓનું દબાણ દૂર કરવાના બદલે ધર્મેન્દ્ર રોડ પરથી આડેધડ વાહનો ટોઈંગ કરવામાં આવતાં વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને સમગ્ર વેપારી મંડળ દ્વારા દુકાનો બંધ પાળી ઉગ્ર આક્રોશ ઠાલવી ટ્રાફીક પોલીસની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટના સૌથી જુના વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર સાંકડા રોડ હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. તેમાં પણ વેપારીઓની દુકાન આગળ ફુટપાથ અને રોડ પર પાથરણાવાળા અને લારી ઉભી રાખી વેપાર કરતાં ધંધાર્થીઓના કારણે વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. જેથી આ અંગે વેપારીઓ દ્વારા અગાુ અનેકવાર મહાનગરપાલિકા અને પોલીસમાં પાથરણાવાળા અને લારી તથા રીક્ષાઓને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં પણ વેપારીઓએ પાથરણાવાળાઓને દૂર કરવા રજૂઆત કરી હતી.
જો કે ટ્રાફીક વિભાગ દ્વારા વેપારીઓની રજૂઆત પાથરણાવાળાને દૂર કરવાની હતી. જેના બદલે ઉલ્ટાનું ટ્રાફીક પોલીસ દ્વારા બે દિવસથી ડ્રાઈવ યોજી ધર્મેન્દ્ર રોડ પર દુકાનો પાસે પડેલા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરવાની કામગીરી કરતાં વેપારીઓમાં રોષ છવાયો હતો.
આજે સતત ત્રીજા દિવસે ટ્રાફીક પોલીસ દ્વારા ધર્મેન્દ્ર રોડ પર આડેધડ વાહનો ટોઈંગ કરવા લાગતા વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને ટ્રાફીક પોલીસની કામગીરીનો વિરોધ કરી ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના 8 એસોસીએશન મંડળે એક થઈ બપોરે બે વાગ્યા સુધી દુકાનો સજ્જડ બંધ પાળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કોર્પોરેશન અને પોલીસ રસ્તા ઉપર દબાણ કરતાં પાથરણાવાળા અને લારીવાળા સામે આંખ મીચામણા કરે છે. વેપારીઓને નડતરરૂપ પાથરણાના દબાણ હટાવવાના બદલે વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરી જવામાં આવે છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓએ એક થઈ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વેપારીઓ ACPને રજૂઆત કરવા દોડી ગયા
ટ્રાફીક પોલીસની આડેધડ વાહનો ટોઈંગ કરવાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તમામ વેપારી મંડળો પ્રતિનિધિઓ ટ્રાફીક એસીપી જે.બી.ગઢવીને રજૂઆત કરવા દોડી ગયા હતાં અને રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવ્ના બદલે વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરવાની કાર્યવાહી બંધ કરી ખરેખર જે નડતરરૂપ ચે તે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે.
નવા અધિકારી કામગીરી દેખાડવા વેપારીઓ ઉપર ધોંસ બોલાવે છે : પ્રનંદ કલ્યાણી
ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફીક પોલીસની આડેધડ વાહનો ટોઈંગ કરવાની કામગીરીને લઈ વેપારીઓ દ્વારા બંધ પાડી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વેપારી એસો.ના પ્રમુખ પ્રનંદ કલ્યાણીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર રોડ પર રસ્તો નાનો હોવાથી ગ્રાહકો અને વેપારીઓ દુકાન પાસે વાહાને પાર્ક કરતાં હોય છે. પાથરણાવાળાના દબાણને દૂર કરવા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી ઉલ્ટાનું નવા અધિકારી આવે ત્યારે કામગીરી દેખાડવા વેપારીઓ ઉપર ધોંષ બોલાવતાં હોય તેમ વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરે છે. ગ્રાહકોના વાહનો ઉપાડી જઈ રૂા.500નો દંડ ફટકારતા હોવાથી ગ્રાહકો પણ ખરીદી કરતાં આવતા અચકાઈ છે જેથી તેના વેપાર ધંધાને અસર પડે છે. અગાઉ પોલીસ કમિશ્નર સાથે થયેલી બેઠકમાં વેપારીઓને તેમની દુકાન પાસે બે વાહન પાર્ક કરવ્ની છુટ આપવામા આવી છે. આમ છતાં ટ્રાફીક પોલીસ કમિશાનરનાં નિયમનો ઉલાળીયો કરી વેપારીઓના વાહનો ટોઈંગ કરી જાય છે. ટ્રાફીક પોલીસની દાદાગીરી સામે તેઓએ જણાવ્યું કે વેપારીઓ ખુદ એક તાકાત છે. હાલમાં બંધના સમર્થનમાં ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના તમામ આઠ એસોસીએશન જોડાયા છે અને પોલીસની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.