ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીને વેરણ કરતી મચ્છુ જળપ્રલયની આજે 46મી વરસી

11:29 AM Aug 11, 2025 IST | Bhumika
Advertisement

અડધી સદી બાદ પણ સ્વજનોને ગુમાવનાર પીડિતોની આંખ સતત ભીંજાયેલી હોવાનો અહેસાસ, કાળની થપાટને પાછળ છોડી ખમીરવંતી પ્રજાએ મોરબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતુ કર્યુ : હોનારતમાં આશરો ગુમાવનાર આજે દેશના દરેક રાજ્યના લોકોનો ઓટલો અને રોટલો બની મોરબી

Advertisement

મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ, 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરના તણાયા હતા.

સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવો તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. મોરબી પુર હોનારત વખતે મોરબી મા નળીયા મોઝેક ટાઈલસ ને ઘડીયાલ ઉદ્યોગ અસ્તિત્વ મા હતો જેને પણ પારાવાર નુકશાની પહોચી હતી જે બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની આજે 46 વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખોમાંથી આજે પણ આંસુના પુર વહે છે.

11 ઓગસ્ટ, 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુના પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એકઝાટકે તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસનહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.

મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું
મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી.

જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે 46 મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે

 

Tags :
gujaratgujarat newsMachchu floodmorbimorbi news
Advertisement
Next Article
Advertisement