‘દાદા’ને મળવા હવે 7 કોઠા વીંધવા પડશે, મુલાકાતી વ્યવસ્થામાં ફેરફાર
ગુજરાતની જનતાને ગાંધીનગર સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકુલમાં બેસતાં મુખ્યમંત્રીને મળી પોતાની આપવીતી, રજૂઆતો, ફરિયાદો અંગે સીધા મળી શકાશે નહીં. છેલ્લા દોઢેક કરતાં વધુ દશકથી ચાલતી વ્યવસ્થામાં ફેરફાર થયો છે.
સોમવારે જાહેર જનતા માટેનો દિવસ હોય છે અને રાજ્યભરમાંથી અનેક નાગરિકો પ્રશ્નો, સમસ્યા અને રજૂઆતો લઇ મુખ્યમંત્રીને મળવા આવતા હોય છે. અત્યાર સુધી મુખ્યમંત્રી ફ્લોર (એસએસ-1, ત્રીજો માળ) ખાતે સૌને બેસાડાતા હતા અને સોમવારે બપોરે ત્રણ વાગ્યા પછી મુખ્યમંત્રી સૌને વારાફરતી મળતા અને રજૂઆતો સંદર્ભે સંબંધિત કાર્યવાહી માટે સૂચના આપતા હતા. હવે આ વ્યવસ્થામાં ગત સપ્તાહથી ફેરફાર કરાયો છે. આ ફેરફાર પ્રમાણે એસએસ-1ના ગ્રાઉન્ડ ફ્લોર પર નર્મદા હોલ ખાતે સાામાન્ય નાગરિકોને બેસાડવામાં આવશે અને એક ડેપ્યુટી કલેક્ટર સ્તરના અધિકારી દરેક વ્યક્તિની રજૂઆતો, સમસ્યાની પ્રાથણિક વિગતો જાણી, તેને મુખ્યમંત્રીને મળવા યોગ્ય લાગે તો ટોકન નંબર આપવામાં આવે છે. આને લીધે ખૂબ મર્યાદિત લોકો જ હવે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી શકે છે. આને લીધે સાઠેક ટકા નાગરિકોને ગ્રાઉન્ડ ફ્લોરથી જ અન્ય મંત્રીઓ, કે સંબંધિત વિભાગ કે પોતાના જિલ્લામાં, પાલિકા પંચાયત સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપી રવાના કરાતા મુલાકાતીઓમાં કચવાટ ફેલાયો છે.
ગુજરાતમાં આગામી મહિને યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2024ની જુદા જુદા સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. જેને આખરી ઓપ આપવા, સમિટ દરમિયાન યોજાનાર વિવિધ વિષયો પરના સત્રો, વડાપ્રધાન સહિતના દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિ, એમની બેઠકો વગેરે અંગે મંગળવારે શ્રેણીબદ્ધ બેઠકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આને લીધે તા.19 ડિસેમ્બરને મંગળવારના રોજ મુખ્યમંત્રી પૂર્વનિર્ધારીત કાર્યક્રમોના કારણે ખઙ-ખકઅ તથા મુલાકાતીઓને મુલાકાત માટે મળી શકશે નહીં.