ગોંડલના અનિડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાત
ગોંડલ શહેરમાં સાસરિયા પક્ષના ત્રાસ અને જંગી રકમની માંગણીના કારણે 45 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે લખેલી સુસાઇડ નોટમાં સાસરિયા પક્ષના પાંચ લોકો દ્વારા ₹50 લાખની માંગણી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલના નાગડકા રોડ પર આવેલી તિરૂૂમાલા રેસિડેન્સીમાં રહેતા કાલરીયા ડેનિશ મનસુખલાલ (ઉંમર 45 વર્ષ) નામના યુવાને અનિડા અને નાગડકા ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. દવા પીતા પહેલાં ડેનિશભાઈએ પોતાના કૌટુંબિક ભાઈને મોબાઈલ પર લોકેશન મોકલ્યું હતું. પરિવારજનો સાંજે 6 વાગ્યાથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. આશરે બે કલાકની શોધખોળ બાદ, અનિડાના સીમ વિસ્તારના મજૂરો તેમને બાઇક પર બેસાડીને અનિડા પટેલ સમાજ સુધી લઈને આવ્યા હતા. તેમને તાત્કાલિક ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી 1 ડિસેમ્બરના રોજ લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં મૃતક ડેનિશભાઈએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સાસરિયા પક્ષના લોકોએ તેમની પાસે ₹50 લાખની જંગી રકમની માંગણી કરી હતી, જેના ત્રાસથી કંટાળીને તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે.
પોલીસે સુસાઇડ નોટ અને મૃતકના પરિવારજનોના નિવેદનોના આધારે સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુસાઇડ નોટમાં સાસરિયા પક્ષના અન્ય 5 લોકોના નામ પણ લખેલા છે. મૃતક ડેનિશભાઈની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે છે અને તેઓના છૂટાછેડાના મામલે છેલ્લા 6 વર્ષથી ગોંડલ કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે.