ટીપરવાનના ટેન્ડરની મુદત પૂર્ણ: 800 કર્મીઓની જન્માષ્ટમી બગડશે
નવેમ્બર 2023માં મુદત પૂર્ણ છતાં શાસકોના પાપે ટેન્ડર પ્રક્રિયા થતી ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
શહેરમાં ઘરેઘરેથી કચરો એકઠો કરતી ટીપર વાનનો કોન્ટ્રાક્ટ આઠ મહિનાથી પુરો થઈ ગયો છે. છતાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી ન થતાં ટીપરવાનના ડ્રાયવર અને ક્લીનરો સહિતના 800થી વધુનો પગાર અટકાઈ ગયેલ હોય જન્માષ્ટમીના તહેવારો બગાડવાનું પાપ શાસકપક્ષ દ્વારા કવામાં આવી રહ્યું છે. તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરી રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા લેખીતમાં રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાપાસેથી કરોડો રૂપિયા કરવેરા પેટે ઉઘરાવવામાં આવે છે. અને તેમાય ખાસ કરીને સફાઈના નામે કરોડો રૂપિયાનો સફાઈવેરો ઉઘરાવવામાં આવે છે. પરંતુ મનપાની પાયાની સુવિધા એવી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે રાજકોટ શહેરના ઈસ્ટ-વેસ્ટ અને સેન્ટ્રલ ત્રણેય ઝોનમાં ટીપરવાનના ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. જે પૈકીના ઘણા ખરા ટીપરવેનો ખખડધજ હાલતમાં અને પ્રદુષણ ઓકતા જોવા મળે છે. જેની પણ મનપાના ભાજપ શાસકોને તેમ માત્ર દરકાર નથી.
આ ટીપરવાન ચલાવવા માટેનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ જુદી જુદી ચાર ખાનગી એજન્સીઓને આપવામાં આવેલ જે એજન્સીનો કામગીરીનો સમયગાળો નવેમ્બર 2023માં પૂર્ણ થઈ ગયેલ છે. નિયમ અનુસાર કોઈપણ કામ માટે નક્કી કરેલ એજન્સીની કામગીરીનો સમયગાળો પૂર્ણ થવાના છ માસ પહેલા કામગીરીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાની હોય છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ મનપાના બીન અનુભવી શાસકોના પ્રતાપે મનપામાં અધિકારી રાજ પર્વતિ રહ્યું છે. અને રાજકોટ મનપાએ ભ્રષ્ટાચારનું અખાડો બની રહ્યું છે. ત્યારે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીપરવેન કોન્ટ્રાક્ટનો સમયગાળો નવેમ્બર 2023માં પૂર્ણ થયો ત્યારે મે-2024માં છ મહિનાના એક્ષટેન્સન (વધારાની મુદત)નો સમયગાળો પણ પૂર્ણ થયો છે.
છતાં હજુ સુધી ટીપરવાન કોનટ્રાક્ટના ટેન્ડરો બાબતની કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી અને પોતાના મળતિયાઓને આ કોન્ટ્રાક્ટ ચાલુ રહે છે. તે પ્રકારનો ઘાટ ઘડવામાં આવી રહ્યો છે. પર્યાવરણ વિભાગ દ્વારા મનપા ભાજપના શાસકો અને કમિશનરને અંધારામાં રાખી વધારાના ખર્ચ બાબતની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મુકવામા આવી નથી જેથી આ ટીપરવેન કોન્ટ્રાક્ટ એજન્સીઓ ને સમયસર તેમના પેમેન્ટ ન મળતા ઘણી એજન્સીઓ દ્વારા ત્રણ ત્રણ મહિનાથી ટીપરવેનના ડ્રાઈવર-ક્લીનરોમાં પગારો પણ ચુકવાયા નથી ત્યારે આ નાના માણસો રોજનું કરી રોજનું ખાતા હોય તેવા સામાન્ય માણસો ભાજપ શાસકો અને તંત્રની લાપરવાહીનો ભોગ બની રહ્યા છે. અને અગામી જન્માષ્ટમીના તહેવારો પણ પગાર વાંકે બગડે તેવી હાલત સર્જાય છે. ત્યારે ભાજપના શાસકો દ્વારા તાત્કાલીક ધોરણે પગાર ખર્ચ દરખાસ્ત મંજુર કરવામા ઁઆવે તેમજ ટીપરવેન કોન્ટ્રાક્ટનો ટેન્ડરો તાત્કાલીક ધોરણે કરવામાં આવે જેથી રાજકોટની જનતાને સારી સુવિધા મળી શકે અને પ્રજાના ટેક્સના સફાઈવેરાનો ખર્ચ સાર્થક થાય.