રાજકોટમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
- મેઘાણી વાડીના પ્રૌઢ પોતાના ઘરે જ ઢળી પડયા, કોઠારિયાના આધેડ કામેથી પરત ફરતા રસ્તામાં બેભાન થઈ ગયા હતા
રાજકોટ શહેરમાં વધુ ત્રણ વ્યક્તિના હાર્ટએટેકથી મૃત્યુ નિપજતાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, સૌપ્રથમ બનાવમાં કાલાવડ રોડ પર આવેલા સરકારી આવાસના કવાર્ટરમાં રહેતા ભાવેશભાઈ બચુભાઈ આઘેરા નામના 48 વર્ષના કોળી આધેડ આજે સવારના 11 વાગ્યે નાનામવા સર્કલ પાસે શ્રીરામ મસાલા માર્કેટમાં હતાં ત્યારે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેઓને હાર્ટએટેક આવી ગયાનું તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. ભાવેશભાઈ મરચાપીઠમાં કામ કરતાં હતાં તેમને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા છે. તેમજ પોતે બે ભાઈમાં નાના હતાં.
બીજા બનાવમાં મવડી ગામમાં આવેલી મેઘાણી વાડી પાસે રહેતા લલિતભાઈ છગનભાઈ મેઘાણી નામના 50 વર્ષના પટેલ પ્રૌઢ આજે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેઓને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે ત્રીજા બનાવમાં કોઠારીયા મેઈન રોડ મહેશ્ર્વરી સોસાયટી શેરી નં.1માં રહેતા કમલેશભાઈ હિરજીભાઈ ગોહેલ નામના 45 વર્ષના આધેડ રાત્રિના દસેક વાગ્યે ભાવનગર રોડ પર ફિલ્ડ માર્સલની વાડી નજીકથી પસાર થતાં હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.
તેમજ અન્ય બનાવોમાં નવા થોરાળા વિજયનગર શેરી નં.4માં રહેતા ભાવેશભાઈ ગણેશભાઈ મકવાણા નામનો યુવાન પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પરિવારે જણાવ્યું હતું કે ભાવેશ ગઈકાલે સવારે કોઈને કીધા વગર નીકળી ગયા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને ત્યાંથી આજે તેમને ઘરે લાવ્યા હતાં. ત્યારે ભાવેશ આજે બપોરે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ગયો હતો. પોતે વિકલાંગ છે અને માનસિક બિમારીની દવા ચાલુ હોવાનું તેમના પરિવારે જણાવ્યું છે.