રાજકોટમાં વધુ ત્રણના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ માનવ જીંદગી હદયરોગના હુમલાના કારણે ધબકારા ચુકી બંધ થઈ જતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ ગોવાણી ઉ.વ.37 પોતાના ઘરે હતો ત્યારે સાંજના 5:30 વાગ્યેના આસપાસ હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનામાં એક પુત્ર છે.
બીજા બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાછળ મન્છાનગરમાં રહેતા મેરૂભાઈ રાજાભાઈ લુણી ઉ.વ.41 પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મેરૂભાી લુણીનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક મેરુભાઈ લુણી ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્રી છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટમાં રૈયાટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ મહેતા ઉ.વ.53 પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અઁગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.