આ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન છે: મોરારીબાપુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલી કાર્યવાહી અંગે આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ એક મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું છે. તેમણે આ કાર્યવાહીને કોઈ હુમલો નહીં, પરંતુ વિશ્વ કલ્યાણ માટેનું અનુષ્ઠાન ગણાવ્યું છે. ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલી રામકથા દરમિયાન શુક્રવારે વ્યાસપીઠ પરથી સંબોધન કરતા મોરારી બાપુએ ભારત દ્વારા આતંકવાદ સામે લેવાઈ રહેલા પગલાં અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન આજકાલ અનુષ્ઠાન કરી રહ્યું છે, વિશ્વ કલ્યાણ માટે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ કોઈ વ્યક્તિ કે દેશની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદની વિરુદ્ધ છે. બાપુએ આગળ કહ્યું કે, જ્યારે આતંકવાદનો અંત આવશે, ત્યારે જ જગત શાંતિનો શ્વાસ લઈ શકશે, આનંદનો શ્વાસ લઈ શકશે. તેમણે આ કાર્યને કોઈ સામાન્ય હુમલો નહીં ગણાવતા કહ્યું કે, આ કોઈ હુમલો નથી, આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ બધું જીવોના હિત, સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રીતાય. એટલે કે, આ કાર્ય તમામ જીવોના હિત માટે, તેમના સુખ માટે અને તેમના પ્રત્યેના પ્રેમ ભાવનાથી કરવામાં આવ્યું છે. બાપુએ દેશભરમાં વર્તમાન પરિસ્થિતિમાં જાગૃત થયેલી ભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે દેશભરમાં ઉત્સાહ, ગૌરવ, દેશભક્તિ, પ્રેમ અને આસ્થાની લાગણીઓ જાગ્રત થઈ છે. આ ભાવનાઓને તેમણે ભારતની આત્મા અને સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું.