પત્ની, તેના પ્રેમી અને સાસુના ત્રાસથી યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
જામકંડોરણાના ચરેલ ગામની ઘટના: ‘તું ઘરે આવતો નહીં’ તેવી ત્રણેયે ધમકી આપતા પગલું ભર્યાનો આરોપ
જામ કંડોણાના ચરેલ ગામે રહેતા યુવકને પત્ની, તેના પ્રેમી અને સાસુએ ‘તું હવે ઘરે આવતો નહિ’ તેમ કહી ત્રાસ ગુજારતા યુવાને ત્રણેયના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામ કંડોણા તાલુકાના ચરેલ ગામે રહેતા બાવનજીભાઈ જશાભાઈ પરમાર નામનો 45 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જામ કંડોણા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાવનજીભાઈ પરમાર બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બાવનજીભાઈ પરમારની પત્ની સોનલબેનને બિલ્ડર કિરણ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો જેથી પત્ની સોનલબેન, સાસુ કમળાબેન અને બિલ્ડર કિરણ ચૌહાણે સાથે મળી ઘરેણા વેચી નાખી વેચી માર્યા હતા અને બાઇક ગીરવે મૂકી દીધું હતું. એટલું જ નહીં પરંતુ પત્ની, સાસુ અને પત્નીનો પ્રેમી તું ઘરે આવતો નહીં તેમ કહી ત્રાસ આપતા હોવાથી બાવનજીભાઈ પરમારે ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જામકંડોણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.