વડાપ્રધાન મોદી નાઈટ હોલ્ટ રાજકોટ કરે તેવી સંભાવના વચ્ચે તંત્ર ઊંધા માથે
સૌરાષ્ટ્રનાં હજારો કરોડના વિકાસ કામોને લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સંભવિત રાજકોટમાં નાઈટ હોલ્ડ કરે તેવી શકયતાઓ ઉભી થતાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એસપીજી દ્વારા સરકીટ હાઉસ ખાતે સુરક્ષા વધારી દઈ સભાસ્થળથી સરકીટ હાઉસ સુધીનું રિર્હસલ પણ કર્યુ હતું.
બેટ દ્વારકાના સિગ્નેચર બ્રીજ અને રાજકોટની એઈમ્સ હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્રના હજારો કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. આજે સાંજે વડાપ્રધાન જામનગર ખાતે નાઈટ હોલ્ડ કર્યા બાદ કાલે સવારે બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે અને બપોરે હેલીકોપ્ટર દ્વારા રાજકોટ નજીક 1195 કરોડના ખર્ચે બનેલી એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રેસકોસ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરનાર હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું છે.
વડાપ્રધાનના મીનીટ ટુ મીનીટનો કાર્યક્રમ આવી ગયા બાદ એસપીજી દ્વારા સમગ્ર રૂટનો રિહર્સલ કર્યુ હતું. દરમિયાન આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે નાઈટ હોલ્ટ રાજકોટમાં કરનાર હોવાની વાતો વહેતી થતાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સરકીટ હાઉસ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. જ્યારે એસપીજી દ્વારા સભાસ્થળથી સરકીટ હાઉસ સુધીનું વડાપ્રધાનના રૂટનું રિહર્સલ પણ કર્યુ હતું. એસપીજી દ્વારા સંભવિત વડાપ્રધાન નાઈટ હોલ્ટ રાજકોટ કરે તેવી શકયતા વચ્ચે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે વડાપ્રધાન નાઈટ હોલ્ટ રાજકોટમાં કરે તેની પાછળના બે કારણો ચર્ચાની એરણે ચડયા છે જેમાં સોમવારે સોમનાથ ટ્રસ્ટની સંભવિત મીટીંગમાં હાજરી આપવા માટે વડાપ્રધાન રાજકોટમાં રોકાય તેવી વાત વહેતી થઈ છે.