શાપર-વેરાવળ પરણાવેલી પરિણીતા પર કારખાનેદાર પતિ સહિતનાઓએ ત્રાસ ગુજાર્યો
ભુવાએ દાણા જોઈને છૂટું કરી નાખો આ લગ્નજીવન ચાલે તેમ નથી
રાજકોટ જિલ્લાના સરધારગામે રહેતી અને શાપર-વેરાવળમાં પરણાવેલી પરણીતાને પતિ સહિતના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ આપતા હોવાનું અને માવતરે આટો દેવા ગયા બાદ આજ દિવસ સુધી તેડવા નહીં આવી ભુવા પાસે દાણા જોવડાવી છુટુ કરી નાખો આ લગ્નજીવન ચાલે તેમ નથી તેમ કહી કરિયાવર ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સરધાર રહેતી હિમાબેન કુણાલભાઈ કાપડિયા ઉ.વ.28 નામની યુવતિએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં શાપર-વેરાવળ ખોડિયારનગરમાં રહેતા કારખાનેદાર પતિ કુણાલ મુકેશભાઈ કાપડિયા, સસરા મુકેશભાઈ કાપડિયા, સાસુ કુસુમબેન મુકેશભાઈ કાપડિયા, જેઠ હાર્દિક મુકેશભાઈ કાપડિયા, જેઠાણી ભૂમિબેન હાર્દિકભાઈ કાપડિયા અને પારડી ગામના ભાવા ધીરુભાઈ ઘરસુડિયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના બે વર્ષ પહેલા કુણાલ કાપડિયા સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી પરણીતાને સાસુ અને જેઠાણી ઘરકામ બાબતે અવાર નવાર માથાકુટ કરતા હતા ચારેક મહિના પહેલા જેઠાણી સાથે માથાકુટ થતાં જેઠે જેમફાવે તેમ ગાળો દઈ મારકુટ કરી હતી અને સસરા પણ કહેતા હતા કે, તુ મોઢુ બગાડીને ઘરમા રહે છે કોઈના સાથેસંપીને રહેતી નથી તેવું કહી માથાકુટ કરતા હતા.
આ બાબતે પતિને ફરિયાદ કરતા પતિ પણ પરિવારનું ઉપરાણું લઈ પરિણીતાને મારકુટ કરતો હતો.
બે મહિના પહેલા ફરિયાદી યુવતિ તેના માવતરે આટો દેવા ગઈ ત્યારે સાસુએ કરિયાવરમાં આપેલ સોનાના દાગીના પોતાના પાસે રાખી લીધા હતા અને માવતરે આંટો દેવા ગયેલ યુવતિને આજ દિવસ સુધી સાસરિયાઓ તેડવા ગયા નથી. એટલું જ નહીં પરંતુ સાસરિયાએ પારડી ગામે રહેતા ભુવા ધીરુભાઈ ઘરસુરિયા પાસે દાણા જોવડાવ્યા હતાં જેમાં ભુવાએ છુટુ કરી નાખો આ લગ્નજીવન ચાલે તેમ નથી તેના કારણે સાસરિયાઓ પરણીતાને તેડવા નહીં જતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.