કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું, ભારત જોડો યાત્રાનો રૂટ થશે નક્કી
ગુજરાતમાં એક વર્ષ પહેલા યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં રકાસ અને તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં નબળા દેખાવ બાદ કોંગ્રેસે હવે લોકસભાની તૈયારી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ના બીજા તબક્કાની તૈયારી શરૂ કરી છે અને બીજા તબક્કાની ‘ભારત જોડો યાત્રા’ ગુજરાતથી શરૂ થવાની હોય, ગુજરાત કોંગ્રેસના નેતાઓની આવતીકાલે દિલ્હી ખાતે કોંગે્રસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક યોજેલ છે.
કોંગ્રેસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકતીસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા તેમજ સિનિયર ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને દિલ્હીનું તેડુ આવ્યું છે અને ગુજરાત કોંગ્રેસના આ નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજનાર છે.
કોંગ્રેસના નેતાઓની આ બેઠકમાં ગુજરાતમાં પોરબંદરથી શરૂ થનાર રાહુલ ગાંધીની બીજા તબક્કાની ‘ભારત જોડો યાત્રા’ના પ્રારંભ અને રૂટ સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગુજરાતમાં પોરબંદરથી ‘ભારત જોડો યાત્રા’નો ધમાકેદાર પ્રારંભ થાય અને યાત્રાના રૂટ ઉપર પણ લોકો સુધી કોંગે્રસનો અસરકારક મેસેજ જાય તેવુ આયોજન કરવા ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
આ બેઠકમાં ગુજરાતમાં કયા કયા રૂટ ઉપરથી ‘ભારત જોડો યાત્રા’ પસાર કરવી અને રૂટમાં આપતા મુખ્ય ધાર્મિક સ્થળોએ રાહુલ ગાંધી દર્શન કરે તે અંગે બ્લુપ્રિન્ટ નક્કી થનાર હોવાનું જણાવાય છે. આ ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા અઠવાડિયા પહેલા બનાવવામાં આવેલી ચૂંટણી સમિતિ તેમજ દસ જિલ્લા પ્રમુખોની નિમણુકો અંગે પણ ચર્ચા થનાર છે. લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ સંગઠનને સક્રિય કરવા પણ બેઠકમાં ચર્ચા થશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.