અઢી કરોડ ફસાઈ જતાં કારખાનેદારે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મિત્રોએ જ દગો દેતા મોતનો માર્ગ પકડ્યો, રાજકોટ-અમદાવાદ-જૂનાગઢ અને પૂનાના સાત શખ્સો સામે ગુનો નોંધાયો
રાજકોટના સામાકાંઠે રહેતા કારખાનેદારને નફાની લાલચ આપી મિત્રોએ રૂા.2.47 કરોડ પડાવી લીધા બાદ જે નુકસાન થતાં કારખાનેદારે પોતાના મિત્રોએ કરેલા દગાથી આર્થિક ભીંસમાં આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે મૃતકે લખેલી સ્યુસાઈડ નોટના આધારે મૃતકના પિતાની ફરિયાદ પરથી રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને પૂનાના સાત શખ્સો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. નફાની લાલચ આપી મિત્રોએ રૂા.2.47 કરોડ પડાવતાં કારખાનેદાર પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરી મોત વ્હાલુ કરી લીધું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
રણછોડનગર સોસાયટીમાં અમૃતાલય એપાર્ટમેન્ટમાં રહેતા અને અટીકા ફાટક પાસે ભાગીદારીમાં લેસર કટીંગનો વેપાર કરતાં મૌલિક યોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ બાબીયાએ થોડા દિવસો પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૌલિકે 7 જેટલા શખ્સોને ધંધો કરવા માટે રૂૂા. 2.47 કરોડ આપ્યા હતાં. પરંતુ તેમણે નફો કે મૂડી પરત નહીં આપતાં મૃતકના પિતા યોગેશભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બી ડીવીઝન પોલીસે યોગેશભાઇ બાબીયા (ઉ.વ.62)ની ફરિયાદ પરથી રાહુલ સોની (રહે. અમદાવાદ), હુસેન મલિક (રહે. જૂનાગઢ), અજય રાઠોડ (રહે. રાજકોટ), પંકજ રાજા (રહે. સિટી સેન્ટરની પાછળ, રાજકોટ), આશિષ પરમાર (રહે. રાજકોટ), હર્ષિત શેઠ (રહે. રાજકોટ) અને સંતોષ સેન્ડકર (રહે. પૂણે) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.
યોગેશભાઈએ પોલીસને જણાવ્યું કે થોડા દિવસોથી તેનો પુત્ર મૌલિક ગુમસુમ રહેતો હોવાથી તેણે પૂછપરછ કરી હતી. જેમાં તેણે મેં બેન્કમાંથી અને પર્સનલ લોન લઇ મોટી રકમ મારા ઓળખીતા મિત્રોને ધંધા માટે આપી છે. આ શખ્સોએ સારો નફો આપીશું તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ તેની પાસેથી અવારનવાર નફો અને મુદ્દલ મૂડી માગતા તેણે આપ્યા નથી અને બેન્કમાં પર્સનલ લોન ભરવાની થાય તે કઇ રીતે ભરપાઇ કરીશ તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ ગઇ તા. 15-6-24ના તે તેના પત્ની સાથે નિત્યક્રમ પતાવી ચોકમાં બેસવા ગયા હતા. આ સમયે તેના પાડોશીએ ફોન કરી ઘરે આવવાનું જણાવતા તે ત્યા પહોંચ્યા હતા. જ્યાં તેનો પુત્ર મૌલિક બેડ પર સૂતેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રવધૂને પૂછતાં તેણે જણાવ્યું કે તે રૂૂમ સાફ કરવા માટે આવતા મૌલિક ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. જેથી ગભરાઈ તેણે પાડોશીને જાણ કરતાં તેમણે બંનેએ મૌલિકને નીચે ઉતારી બેડ પર સૂવડાવ્યો હતો. 108ને જાણ કરાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ મૃતક મૌલિકે આપઘાત પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે આપેલા શખ્સો દ્વારા રૂૂપિયા પરત આપતા ન હોવાથી પગલું ભરવું પડયું છે તેમ જણાવ્યું હતું. જેમાં રાહુલ સોની પાસેથી 95 લાખ, હુસેન મલિક પાસેથી 20 લાખ, અજય રાઠોડ પાસેથી 45 લાખ, પંકજ રાજા પાસેથી 27 લાખ, આશિષ પરમાર પાસેથી 25 લાખ, હર્ષિત શેઠ પાસેથી 15.50 લાખ, સંતોષ સેન્ડકર પાસેથી રૂૂા. 20 લાખ મળી કુલ રૂૂા. 2,47,50,000 લેવાના હોવાનું જણાવ્યું હતું.
આ મામલે યોગેશભાઈ બાબીયાની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી રાજકોટ, અમદાવાદ,જૂનાગઢ અને પૂનાના મૃતક મૌલીકના મિત્રો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.