For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઇમ્સના ડાયરેક્ટરના બે પુત્રો અને અધિકારીના ભાઇને નોકરીએ ગોઠવવા ભરતીના નિયમો જ વિકૃત કરી નખાયા

03:38 PM Oct 03, 2024 IST | Bhumika
એઇમ્સના ડાયરેક્ટરના બે પુત્રો અને અધિકારીના ભાઇને નોકરીએ ગોઠવવા ભરતીના નિયમો જ વિકૃત કરી નખાયા
Advertisement

દેશની કોઇ એઇમ્સમાં નથી તેવા ભરતીના નિયમો રાજકોટ એઇમ્સમાં બન્યા, વય મર્યાદામાં પણ મોટી ગોલમાલ

જુનિયર વોર્ડનની ભરતીમાં ઉચ્ચ અધિકારીઓએ ભાગબટાઇ કરી લીધી, તટસ્થ તપાસ થાય તો અનેક તથ્યોનો ભાંડો ફૂટે

Advertisement

રાજકોટ એઇમ્સમાં કેટલીક ભરતીઓમાં ભયંકર ભ્રષ્ટાચાર અને મામકાવાદ ચલાવાયાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત ભાઇ- ભત્રીજાઓને ઘુસાડી દેવા માટે દેશની કોઇપણ એઇમ્સમાં ન હોય તેવા નીતિ-નિયમો રાજકોટ એઇમ્સમાં ભરતી સમયે ઘુસાડી દેવાયાનું બહાર આવ્યું છે. એઇમસ્માં કાયમી ભરતીમાં મામાકાઓને ઘુસાડી દઇ વહીવટી માફીયાઓએ સરકારી જમાઇ બનાવી દીધા છે જયારે ખરેખર લાયક ઉમેદાવારોને હળાહળ અન્યાય કરી પાપાચાર આચરવામાં આવ્યો છે.

રાજકોટ એઇમ્સમાં ગત તા. 7/10/2023ના રોજ 37 વિભાગની 131 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી હતી. એ-બી અને સી. ગૃપની નોન ફેકલ્ટી પોસ્ટની આ ભરતીમાં જુનિયર વોર્ડન (હાઉસ કીપર્સ)ની બિન અનામત જગ્યાની ભરતીમાં સરકાર સાથે પણ છેતરપીંડી થયાનું સામે આવ્યું છે.

જુનીયર વોર્ડનની ભરતીમાં એક અધિકારીના ભાઇની ભરતી કરવા માટે દેશની કોઇ એઇમ્સમાં નિયમો ન હોય તેવા નિયમો ઘુસાડી દેવાયા હતા. ભરતીની જાહેરાતમાં બે વર્ષનો જુનીયર વોર્ડન તરીકે કોલેજમાં કામ કર્યાનો અનુભવ માંગવામાં આવ્યો હતો. પરંતુ તા.19/10/2023ના રોજ કોરીઝેન્ડમ બહાર પાડીને એકમાત્ર જુનિયર વોર્ડનની ભરતીમાં જ ઉંમર મર્યાદા 30 થી 45 વર્ષ કરી નાખવામાં આવી હતી.

જયારે અન્ય તમામ પોસ્ટ માટે વધુમાં વધુ 35 વર્ષની વય મર્યાદા અને સ્પેશિયલ સ્કીલવાળી જગ્યાઓ માટે 40 વર્ષની વયમર્યાદા રખાઇ હતી.જુનીયર વોર્ડનની ભરતીમાં અધિકારીના ભાઇને ઘુસાડવા માટે જ 30 થી 45 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી હતી. તા.12/12/2023ના રોજ ભરતીનું પરિણામ જાહેર કરી દેવાયુ અને તેમાં અધિકારીના ભાઇને કોમ્પ્યુટર ટેસ્ટમાં 68 ટકાથી વધુ માર્કસ સાથે સિલેક્ટ કરી લેવાયો હતો.

સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, જે જુનિયર વોર્ડનની ભરતી થઇ છે તેની જન્મ તારીખ 27/11/1978 દર્શાવાઇ છે. તે મુજબ ડિસેમ્બર માસમાં તેની ઉંમર 45 વર્ષ ઉપર થઇ ચુકી હતી. આમ છતા તેની ભરતી કરી લઇ ઉઘાડો ભ્રષ્ટાચાર આચરાયાનો ઘટસ્ફોટ થયો છે. આ બારામાં તપાસ થાય તો ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે છે.
જયારે એઇમ્સના ડાયરેકટરના બે પુત્રો પણ ભેદી રીતે એઇમ્સમાં જુનિયર વોર્ડન તરીકે સિલેકટ થઇ ગયા છે. આ પોસ્ટની માત્ર ત્રણ જગ્યા બતાવવામાં આવી છે. એક અધિકારીના 45 વર્ષથી મોટી ઉમરના ભાઇને તથા ડાયરેકટરના પુત્રને કાયમી નોકરી મળી ગઇ છે જયારે એક પુત્રને સિલેકટ કરીને વેઇટીંગ લીસ્ટમાં મોકલી દેવામાં આવ્યો છે.

એઇમ્સમાં થયેલી ભરતીઓમાં ભયંકર સગાવાદ અને ભ્રષ્ટાચાર આચરાયો હોય આ અંગે કેન્દ્ર સરકારની એજન્સીને તટસ્થ તપાસ સોંપવામાં આવે તો ભરતીમાં થયેલા મોટાપાયે થયેલા ગોટાળાનો ભાંડો ફુટવાની પુરી શકયતા છે. એઇમ્સની સલાહાકાર સમીતીમાં રહેલા રાજકીય ખેરખાંઓ પણ આ કૌભાંડોથી અજાણ છે કે જાણી જોઇને આંખમીંચામણા કરી રહ્યા છે તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે.

મામકાઓની ભરતી માટે ફુલપ્રૂફ પ્લાનિંગ, કોઇ ચેલેન્જ કરે નહીં તે માટે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધી, સીબીટી રિશેડ્યુઅલ કરાવી
રાજકોટ એઇમ્સમાં વહીવટી માફિયાઓ દ્વારા ભાઇ-ભત્રીજાઓની ભરતી કરવા માટે મોટા પાયે ગોબાચારી કરવામાં આવી હતી અને કોમ્પ્યુટર બેઇઝડ ટેસ્ટ (સીબીટી) બે વખત રિસ્કેડયુલ કરાવી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત મામકાઓની ભરતી સામે કોઇ કોર્ટમાં જાય નહીં તે માટે ફુલપ્રુફ પ્લાનીંગ કરવામાં આવ્યું હતુ અને તા.12/10/2023ના રોજ કોર્ટમાં 4380/2023 નંબરથી કેવિએટ પણ દાખલ કરવામાં આવી હતી. એઇમ્સમાં ભરતી માટે પહેલા 30 નવેમ્બર 2023ના રોજ કોમ્પ્યુટર બેઇઝડ ટેસ્ટ નકકી કરાઇ હતી. પરંતુ ત્યારબાદ એક અધિકારીના ભાઇની ઉંમરની જગલરીમાં આ ટેસ્ટ રિશેડયુઅલ કરી તા.10 ડિસેમ્બર-2023ના રોજ લેવામાં આવી હતી. આ રિશેડયુલિંગમાં ટેસ્ટ લેતી દિલ્હી સ્થિત સંસ્થા સીડેક પણ શંકાના દાયરામાં છે.

અત્યાચારનો ભોગ બનેલા મહિલા તબીબને કલેક્ટરે રૂબરૂ સાંભળ્યા
એઇમ્સમાં છેલ્લા એક વર્ષથી માનસિક ત્રાસ સહન કરી રહેલા સિનિયર મહિલા તબીબે એઇમ્સના ચાર ઉચ્ચ અધિકારીઓ સામે મહીલા આયોગથી વડાપ્રધાન કાર્યાલય સુધી ફરીયાદો કર્યા બાદ છેલ્લે જિલ્લા કલેકટરને લેખીત ફરીયાદ કરતા અને સમગ્ર મામલે મીડીયામાં સવાલો ઉઠતા જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષી ખુદ એકશનમાં આવ્યા છે અને ફરીયાદ કરનાર મહીલા તબીબને આજે કચેરીએ રૂબરૂ બોલાવીને તેની પાસેથી સઘળી હકિકતો જાણી હતી.

એઇમ્સમાં અજગરભરડો લઇને બેસી ગયેલા કયા અધિકારીએ કેવી રીતે હેરાનગતિ કરી હતી તે અંગે જિલ્લા કલેકટરે મહીલા તબીબ પાસેથી વિગતો મેળવી હતી અને હવે કલેકટર આ મામલે સરકારમાં તથા લાગતા વળગતા મંત્રાલયમાં સીધો જ રિપોર્ટ કરનાર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે મહીલા તબીબે એઇમ્સના વહીવટી ઓફિસર જયદેવ વાળા, ડીન ડો.સંજય ગુપ્તા તથા ડો.ચંદનદેવસિંહ કટોચ સામે માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement