વોર્ડ-17ના નારાયણનગરની પ્રજા હેરાન પરેશાન,
5 દિવસથી વીજળી ગુલ: તળાવની જેમ પાણી ભરાયા
મનપાના માણસો આવ્યા પણ ફોટા પાડી ચાલ્યા ગયાનો મહિલા કોંગ્રેસના હિરલબા રાઠોડનો આક્ષેપ
શહેરમાં સતત ચાર દિવસ પડેલા વ્યાપક વરસાદથી ઘણા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિક થયું છે. શહેરના વોર્ડ નં. 17માં આવેલા નારાયણ નગર-10માં તો પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. કોંગ્રેસના મહિલા આગેવાન હિરલબા રાઠોડે એ રોષભેર જણાવ્યું હતુ ંકે, છેલ્લા 5 દિવસથી તેમના નારયણ નગરમાં વરસાદને લીધે વીજળી ગુલ થઈ જતાં આખો વિસ્તાર અંધારામાં જીવી રહ્યો છે. વિજતંત્રને અનેકવખત કોલ કરાયા પણ કોઈ કોલ રીસીવ કરતું જ ન હોવાથી તેઓના વિસ્તારમાં પુર જેવી ભયાનક સ્થિતિમાં અંધારપટ છવાઈ ગયો છે.
વાત આટલેથી અટકતી ન હોય તેમ નારાયણ નગરમાં જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારેથી આખા વિસ્તારમાં ચારે બાજુ દરિયાની જેમ પાણી ભરાયેલા હોવાથી લત્તાવાસીઓને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. અમુક મધ્યમ વર્ગીય લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
મનપાના સંબંધીત વિભાગને અનેક કોલ કર્યા પછી આવ્યા અને ફોટા પાડી ચાલ્યા ગયા તેમજ એક પણ કોર્પોરેટર તેઓના વિસ્તારમાં ન ફરક્યો હોવાનો હિરલબાનો આક્ષેપ છે. ટુંકમાં અહીં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લત્તાવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.આ મહિલા અગ્રણીએ તાકિદે પાણીનો નિકાલ કરાવી વીજળી પુરવઠો પૂર્વવત કરવા માંગણી કરી છે.