પ્રેમપ્રકરણમાં માતા-પિતા-બહેને સગીરાનું ગળું ઘોંટી દીધું
હત્યાના બનાવને હાર્ટએટેકમાં ખપાવવા પ્રયાસ, ફોરેન્સિક પી.એમ.માં ભાંડો ફૂટી જતાં ત્રણેયની ધરપકડ: વાંકાનેરનાં દિઘડીયા ગામનો ચકચારી કિસ્સો
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દિઘડીયા ગામે 16 વર્ષની સગીરાને પોતાની જ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતાં પરિવારજનો આ પ્રેમ સંબંધથી નારાજ હોય નિંદ્રાધીન સગીરાની માતા પિતા અને મોટી બહેને જ ઓસિકાથી જ મોંઢુ દબાવી ઠંડા કલેજે હત્યા કર્યા બાદ બનાવને હાર્ટએટેકમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાડોશીઓને શંકા જતાં ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતાં સત્ય હકીકત બહાર આવતાં પોલીસે માતા પિતા અને બહેન સામે હત્યા અને પુરાવાઓનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના દિઘડીયા ગામે રહેતા અને ફલોરમીલ ચલાવતાં દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા (ઉ.44)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા પોતાના કૌટુંબીક ભાઈ મહેશ રવિરામભાઈ ગોંડલીયા તેના પત્ની સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને પુત્રી હિરલબેન મહેશભાઈ ગોંડલીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીની 16 વર્ષની પુત્રી રિંકલને બામણબોરનો રાહુલ મુકેશભાઈ કાપડીયા સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે ફોનમાં અવારનવાર વાતચીત કરતી હોય આ પ્રેમ સંબંધી નારાજ પરિવારજનોએ બે દિવસ પહેલા ખાટલામાં સુતેલી નિંદ્રાધીન રિંકલના પગ પકડી છાતી પર બેસી જઈ ઓસિકાથી મોંઢુ દબાવી દુપટ્ટાથી ગળુ દબાવી ઠંડા કલેજે હત્યા કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે સવારે પરિવારજનો એક દમ રડવા લાગતાં ફરિયાદી તેમના ઘરે ગયા હતા આ વખતે કૌટુંબીક મહેશભાઈએ રડતા રડતા પોતાની પુત્રી રિંકલને કંઈક થઈ ગયું છે તેમ કહ્યું હતું અને સુરેખાબેને નિંદરમાં જ હાર્ટએટેક આવી ગયો હોવાની વાત કરી હતી. ફરિયાદીએ રૂમમાં જોયું તો રિંકલ ખાટલા ઉપર સુતી હતી અને ગળા ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતાં.
બાદમાં આ બનાવ અંગે ફરિયાદીએ ગામના સરપંચ અને સગા વ્હાલાઓને જાણ કરતાં રિંકલના મૃતદેહને વાંકાનેર હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક હોસ્પિટલના તબીબને ગળાના ભાગે ઈજા નિશાન હોય શંકા જતાં રાજકોટ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવાનું કહ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતાં રિંકલનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની પુછપરછમાં પરિવારજનોએ રિંકલને પ્રેમ સંબંધ તોડી નાખવા અનેક વખત સમજાવી હતી છતાં તેણે રાહુલ સાથે પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. જેના કારણે મોટી બહેન હિરલનું ઘર પણ તુટી જાય તેમ હોય અનેક વખત સમજાવવા છતાં પુત્રી નહીં માનતા મોડી રાત્રે નિંદ્રાધીન રિંકલનું માતા પિતા અને મોટી બહેને ઠંડા કલેજે કાસળ કાઢી નાખ્યું હતું અને બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની વિશેષ તપાસ વાંકાનેર તાલુકાના પીએસઆઈ એલ. એ. ભરગા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
રિંકલના પ્રેમ સંબંધને કારણે મોટી બહેનની નણંદના છૂટા છેડા થઈ ગયા
વાંકાનેર તાલુકાના દિઘડીયા ગામે નિંદ્રાધીન 16 વર્ષની સગીરાની તેના જ પરિવારજનોએ હત્યા કર્યાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસની તપાસમાં રાજકોટનાં બામણબોર ગામે રહેતા રાહુલ મુકેશભાઈ કાપડીયા સાથે પ્રેમ સંબંધ હોય જેના કારણે રાહુલના અગાઉ છુટાછેડા થઈ ગયા હતાં. રિંકલની મોટી બહેન હિરલની નણંદના રાહુલ સાથે લગ્ન થયા હતાં પરંતુ રિંકલના પરિણીત પુરૂષ સાથેના પ્રેમ સંબંધને કારણે મોટી બહેનની નણંદના છુટાછેડા થઈ ગયા હતાં અને હિરલનું ઘર પણ તુટી જાય તેમ હોય જેના કારણે પરિવારજનોએ રિંકલની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હત્યા કર્યા બાદ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી ચાવીને ફેંકી દીધું
વાંકાનેરના દિઘડીયા ગામે પ્રેમ પ્રકરણના કારણે 16 વર્ષની સગીરાને પરિવારજનોએ જ ઠંડા કલેજે હત્યા કરી છે ત્યારે પોલીસની તપાસમાં રિંકલની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા રિંકલના મોબાઈલ ફોનમાં તેના પ્રેમીના ફોટોગ્રાફ અને વિડિયો હોય જેનો નાશ કરવા માટે મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી ચાવીને ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.