વાણીયાવાડીની પટેલવાડીમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવાનો મહાનગરપાલિકાનો હુકમ રદ
- પારકી જમીનમાં બાંધકામ ખડકી દીધું, કોર્પોરેશને વેરા બિલના આધારે ઇમ્પેક્ટ ફી ભરાવી દીધી
રાજકોટ શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડીનું ઇમ્પેકટ ફીમાં કાયદેસર ઠેરવાયેલું બાંધકામ ગૃડાએ ગેરકાયદેસર ગણાવી કોર્પોરેશન દ્વારા ઇમ્પેકટ ફી ભરાવી કરવામાં આવેલ હુકમ રદ કરી નાખતા હવે પટેલવાડી દ્વારા 600 વાર પારકી જમીન ઉપર કરાયેલ બાંધકામ તોડી પાડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
ટ્રસ્ટ દ્વારા બાજુમાં આવેલ પરેશ ખુંટ નામના આસામીની 600 ચોરસ વાર જમીનમાં ગેરકાયદે બાંધકામ ખડકી દઇ કોર્પોરેશનમાં તેની ઇમ્પેકટ ફી ભરી બાંધકામ કાયદેસર કરાવી લેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ મામલામાં ગૃડા દ્વારા કોર્પોરેશનનો હુકમ રદ કરવામાં આવતા કોર્પોરેશનના ટીપી વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ માલિકીપણાના અધિકાર વગર પચાવી પાડેલ સ.નં. 337 ના ટી.પી. સ્કીમના પ્લોટ નં.16 ઉપરનું બાંધકામ કોઈપણ પ્રકારની પરવાનગી વગરનું હોવા ઉપરાંત ભળતીભેણી તરીકે પચાવી પાડેલ પ્લોટ નં.16 ની જમીન ઉપર પરવાનગી વગર કરેલ બાંધકામ દુર કરવા અનેક રજુઆતો છતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રાજકીય વગના દબાણમાં કોઈ પગલા લીધા ન હતા. તેટલું જ નહી, પરંતુ માલીકી કે કબજાનો એક પણ પ્રકારના આધાર વગર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રેગ્યુલરાઈઝ કરી આપેલ.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ પ્લોટના માલિક પરેશભાઈ ખુંટે અનેક રજુઆતો કરવા છતા કોઈજ કાર્યવાહી કરવાને બદલે રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસરના બાંધકામને રેગ્યુલરાઈઝ કરવાના કાયદા હેઠળ માલિકી/ કબજાના આધાર વગર બાંધકામ કાયદેસરનું કરવાનોહુકમ કરી દીધો હતો. તેનાથી નારાજ થઈ પ્લોટના માલિકે હાઈકોર્ટમાં રીટ-પીટીશન દાખલ કરેલ. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા પોતાના હુકમની કાયદેસરતા પડકારવવા વૈકલ્પિક કરેલ. તેથી માલિક પરેશભાઈ ખુંટ ધ્વારા સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટને જોડી ગૂડામાં અપીલ કરી હતી.
અપીલમાં પોતાના હાઈકોર્ટના એડવોકેટ પ્રતિકભાઈ જસાણી મારફત રજુઆત કરતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલ ગેરકાયદેસરનું બાંધકામ નિયમિત કરવાનો હુકમ રદ કરી નાખેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બાંધકામ નિયમિત કરેલ છે તે માટેની અરજી કરનાર પ્લોટના માલિક હોવાના કોઈ પુરાવા વગર પારકી જમીનમાં કરેલ ગેરકાયદેસરનું બાંધકામ કરેલ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર ત્રાહિતના વેરા બીલના આધારે 600 ચો.વા.થી વધુ જમીનમાં માલિક વગર અનધિકૃત બાંધકામ નિયમિત કરવાનો હુકમ કરેલ છે. તેથી તે નિયમાનુસાર ન હોય રદ કરેલ છે. આ વિવાદ સંબંધે ટ્રસ્ટને રાજકીય વગના આધારે ગેરકાયદેસરની મદદ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ ખોટું સોગંદનામુ પણ કરેલ છે.તેમના સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરે તપાસ કરી કોઈ કાર્યવાહી કરી નથી અને તે અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરેલ છે. જે અંગેની કાર્યવાહી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.