ધો. 9થી 12ના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને નહીં લેવાય
દંપતીના કિસ્સાનો લાભ કેન્દ્રના અને રાષ્ટ્રીય બેંકના કર્મચારીને પણ મળશે, નિયમોમાં ફેરફાર
સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઇને મોટા સમાચાર આવ્યા છે. શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લેવામાં આવશે નહીં. શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમોમાં સુધારો કરાયો છે. બદલીમાં દંપતીના કિસ્સામાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પતિ કે પત્ની કેન્દ્રના કે રાષ્ટ્રીય બેન્કના કર્મચારી હોય તો બદલીનો લાભ મળશે
ધો.9થી 12ની સરકારી સ્કૂલના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લેવામાં આવશે નહીં. અગાઉ વિદ્યાર્થીની સંખ્યાના આધારે બદલીની જોગવાઇ હતી. ગુણાંકનની ટકાવારીની નોંધ પણ રદ કરાઇ હતી. પરિણામ આધારિત પોઈન્ટ્સની જોગવાઈ યથાવત છે.
રાજ્યની ધોરણ નવથી બારની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકની બદલીની જોગવાઈ અંતે રદ કરી દેવામાં આવી. શિક્ષણ વિભાગે 24 નવેમ્બર 2024ના રોજ સરકારી સ્કૂલોના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો માટે ઠરાવ કર્યો હતો. જેમાં કેટલાક સુધારા વધારા માટે અને કેટલીક જોગવાઈઓ રદ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ ઠરાવમાં નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. બદલીમાં દંપતીના કિસ્સાનો લાભ જે શિક્ષકના પતિ કે પત્ની ભારત સરકારના કર્મચારી કે નેશનલાઈઝ્ડ બેંકના કર્મચારી તરીકે નિયમિત નિમણૂંકથી ફરજ બજાવતા હોય તેમને પણ મળશે.
એટલું જ નહીં પતિ પત્નીની સરકારી નોકરી કેટેગરી જેવા શબ્દ વપરાયા હતા તેના બદલે દંપતી કેસ મુજબનો સુધારો કરાયો હતો. જ્યારે મેરિટ સિસ્ટમની જોગવાઈમાં પરિણામ આધારિત પોઈન્ટ્સની જોગવાઈ યથાવત રખાઈ પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રાખેલી ગુણાંકનની ટકાવારીની નોંધ રદ કરવામાં આવી હતી. જ્યારે એક નવી જોગવાઈ ઉમેરાઈ છે.
ડીઈઓ કચેરી હેઠળની સેવાઓના સમયગાળા માટે અગાઉ જેને જિલ્લા ફેરબદલીનો લાભ મળ્યો હોય પરંતુ વહીવટી કે અન્ય કારણોસર છૂટા થઈ શક્યા ન હોય તેવા કર્મચારીઓ માટે સેવાઓનો સમયગાળો જે તે જિલ્લા ફેરબદલીની નવી જગ્યાએ હાજર થયા તારીખથી ન ગણીને જિલ્લા ફેરબદલીના હુકમની તારીખથી ધ્યાને લેવાનો રહેશે.